સુપ્રીમ કોર્ટે ચેક-બાઉન્સના કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને અંતિમ તક આપી છે. જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે યાદવને બે અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ઓછામાં ઓછા ₹2 કરોડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
રાજપાલ યાદવને છે 5 કરોડનું દેવુ
'મુરલી પ્રોડક્શન્સ'ના માલિક સાથેના વિવાદમાં યાદવે કુલ ₹5 કરોડ ચૂકવવાના બાકી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે યાદવનું ભૂતકાળનું વર્તન વિશ્વાસપાત્ર રહ્યું નથી. તેમના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે ₹2 કરોડ જમા કરાવવામાં આવશે અને બાકીની રકમ માટે સુરક્ષા (સિક્યોરિટી) પૂરી પાડવામાં આવશે.
બોલિવુડની જેમ કોર્ટમાં અભિનય જ કરે છે- જજ
ન્યાયાધીશે અવલોકન કર્યું, કે તેમના ભૂતકાળના વર્તનને જોતા કોઈ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરી શકે? તેઓ બોલિવૂડમાં ડ્રામા અને અભિનય કરવામાં નિષ્ણાત છે અને કોર્ટમાં પણ તેઓ એવું જ કરી રહ્યા છે. કોર્ટે 5 ઓક્ટોબરે યોજાનારી આગામી સુનાવણી સુધી ધરપકડ સામેનું રક્ષણ લંબાવ્યું હતું, પરંતુ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 5 ઓક્ટોબર, 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.
આ કેસ શું છે?
આ કેસ વર્ષ 2010નો છે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે 'અતા પતા લાપતા' (Ata Pata Laapata) ફિલ્મ બનાવવા માટે રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની પ્રોડક્શન કંપનીને અંદાજે ₹5 કરોડની લોન આપી હતી. ફિલ્મ રિલીઝ કરવામાં વિલંબ થયા બાદ, નાણાંની ચુકવણી અંગે એક સમજૂતી થઈ હતી; જોકે, કંપનીને આપવામાં આવેલા સાત ચેક બાઉન્સ થયા હતા.
ત્યારબાદ, મુરલી પ્રોજેક્ટ્સે 'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ' હેઠળ કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે એપ્રિલ 2018માં રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા હતા અને સેશન્સ કોર્ટે 2024માં આ સજાને યથાવત રાખી હતી. 10 જુલાઈ, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ દરેક કેસ માટે ત્રણ મહિનાની જેલની સજા અને ₹1.35 કરોડના દંડના આદેશને યથાવત રાખ્યો હતો. રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમને આ મામલામાં ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહતને કારણે, હાલ પૂરતું તેમને જેલમાં જવું પડશે નહીં.