અયોધ્યાના રામ મંદિરના દાનની કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)એ પોતાનો ફાઈનલ રિપોર્ટ ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગને સોંપી દીધો છે. રિપોર્ટ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ SITને ચંપત રાય અને અનિલ મિશ્રા સામે દાનની રકમની ચોરીમાં સીધી સંડોવણીના પુરાવા મળ્યા નથી.

ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ સામે આવી

આ કેસમાં અગાઉ SITની પ્રાથમિક તપાસ દરમિયાન મંદિરની દાન ગણતરી પ્રક્રિયામાં ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ સામે આવી હતી. CCTV તપાસ દરમિયાન કર્મચારીઓ દ્વારા રોકડ છુપાવવાના અનેક બનાવો પણ સામે આવ્યા હતા. પ્રાથમિક રિપોર્ટમાં અનિલ મિશ્રાની દેખરેખ અને વહીવટી ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જ્યારે ચંપત રાયનું નામ પ્રાથમિક રિપોર્ટમાં સીધી રીતે સામેલ નહોતું. 

સંબંધિત સત્તાધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર નજર

દાનની ગેરરીતિનો મુદ્દો સામે આવ્યા બાદ ચંપત રાય અને અનિલ મિશ્રાએ ટ્રસ્ટના હોદ્દા પરથી રાજીનામા આપ્યા હતા, જેને બાદમાં સ્વીકારવામાં આવ્યા હતા. ચંપત રાયે તે સમયે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવીને SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તમામ આરોપોનો મુદ્દાવાર જવાબ આપવાની વાત કરી હતી. હાલ SITનો ફાઈનલ રિપોર્ટ સત્તાવાર રીતે સોંપાઈ ગયો છે. જોકે, સમગ્ર મામલે આગળ ટ્રસ્ટ અને સંબંધિત સત્તાધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો : Vande Mataram Row: સોનિયા ગાંધી આપણા દેશના છે? વંદે માતરમના વિવાદને લઇને ગરમાવો, કોંગ્રેસે નકાર્યા આરોપો