એર માર્શલ (નિવૃત્ત) જિતેન્દ્ર મિશ્રાની શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા વહીવટી, નાણાકીય અને કાયદાકીય વ્યવસ્થાપનની જવાબદારી સંભાળશે. CEOની જવાબદારી સંભાળ્યા બાદ જિતેન્દ્ર મિશ્રા ભાવુક જોવા મળ્યા હતા.

https://twitter.com/ANI/status/2095144670506766794


જિતેન્દ્ર મિશ્રાએ ભગવાન શ્રીરામનો આભાર વ્યક્ત કર્યો 

જિતેન્દ્ર મિશ્રાએ પોતાની પસંદગી બદલ સર્ચ કમિટી, રામ મંદિર ટ્રસ્ટ અને ભગવાન શ્રીરામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ જવાબદારીને પોતાનું સૌભાગ્ય ગણાવતા કહ્યું કે આ ક્ષણે તેઓ પોતાને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ અનુભવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ ખુશીની જાણકારી તેમણે સૌપ્રથમ પોતાની માતા અને પરિવાર સાથે શેર કરી હતી.

સર્ચ કમિટીએ સંપૂર્ણ તપાસ બાદ નિર્ણય લીધો

પસંદગી પ્રક્રિયા અંગે મિશ્રાએ જણાવ્યું કે આ એક કડક પ્રક્રિયા હતી અને સર્ચ કમિટીએ સંપૂર્ણ તપાસ બાદ નિર્ણય લીધો છે. ટ્રસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ તેની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રસ્ટના સહયોગ અને પોતાની ટીમ સાથે મળીને તેઓ રામ મંદિર માટે વધુ સારું કામ કરવાનો પ્રયાસ કરશે. 'ઓપરેશન સિંદૂર'થી રામ મંદિર ટ્રસ્ટના CEO બનવા સુધીની સફર અંગે વાત કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ બધું ભગવાન શ્રીરામની ઈચ્છાથી જ શક્ય બન્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ભગવાનની ઈચ્છા વિના તેઓ કંઈ કરી શકતા નથી અને ઈશ્વર જે માર્ગદર્શન આપશે તે મુજબ તેઓ પોતાની જવાબદારી નિભાવશે.

CEO પદ માટે ટ્રસ્ટને 5,500થી વધુ અરજીઓ મળી હતી

ટ્રસ્ટમાં અગાઉ થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા મિશ્રાએ કહ્યું કે કોઈપણ કામ કરતા પહેલાં ભૂતકાળમાંથી શીખવું જરૂરી છે, પરંતુ તેનાથી આગળ વધવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની શક્તિ આપે. ઉલ્લેખનીય છે કે CEO પદ માટે ટ્રસ્ટને 5,500થી વધુ અરજીઓ મળી હતી. ત્રણ સભ્યોની સર્ચ કમિટીએ અરજીઓની તપાસ કર્યા બાદ ત્રણ નામનું પેનલ તૈયાર કર્યું હતું, જેમાંથી જિતેન્દ્ર મિશ્રાની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય