નાસિકમાં TCS ઓફિસ સાથે જોડાયેલા જાતીય સતામણી અને બળજબરીપૂર્વકના ધર્માંતરણના મામલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જે તથ્યો બહાર આવ્યા છે તે અત્યંત ગંભીર અને ચોંકાવનારા છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાને આખરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, જેનાથી પીડિતા પર કરવામાં આવેલા અત્યાચારોનો કાળો ચહેરો સામે આવ્યો છે.
કાવતરાનું મુખ્ય કેન્દ્ર અને કબૂલાત
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે TCS ઓફિસનો 7મો માળ માત્ર કામ માટે નહીં, પરંતુ આ કાવતરાના મુખ્ય કેન્દ્ર તરીકે વપરાતો હતો. આરોપીઓ દાનિશ, નિદા અને તૌસિફે ત્યાં બેસીને પીડિતાના ધર્માંતરણનું આખું માળખું તૈયાર કર્યું હતું. નિદા ખાને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે પીડિતાને તેના ઘરે લઈ જઈને નમાઝ પઢવાની તાલીમ આપતી હતી. આરોપીએ તપાસ દરમિયાન પોલીસને તે રૂમ અને ખૂણાની પણ ઓળખ કરાવી છે જ્યાં પીડિતાને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવતું હતું.
ડિજિટલ પુરાવા અને અજમેર કનેક્શન
આ કેસમાં ટેકનિકલ પુરાવા ખૂબ જ મહત્વના સાબિત થયા છે. પીડિતાના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ દરમિયાન તેમાં 37 જેટલી ઇસ્લામિક ઓડિયો ક્લિપ્સ મળી આવી છે. આ ઉપરાંત, મોબાઈલમાં મુસ્લિમ ધર્મ સાથે સંબંધિત અનેક યુટ્યુબ લિંક્સ અને ચાર વિશિષ્ટ મોબાઈલ એપ્લિકેશન પણ મળી આવી છે. પોલીસનું માનવું છે કે આ તમામ એપ્લિકેશન્સ દાનિશ અને નિદાના દબાણ હેઠળ પીડિતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી.
તૌસિફે બાળક ન થવાને લઇને પીડિતાનો ઉઠાવ્યો ફાયદો
સૌથી ગંભીર દાવો પીડિતાના નિવેદન દ્વારા થયો છે, જેમાં તેણે જણાવ્યું હતું કે આરોપી તૌસિફ અત્તરે તેની અંગત લાચારીનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. તૌસિફે બાળક ન થવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અજમેરના એક મૌલવીનો સંપર્ક કરાવવાની લાલચ આપી હતી. પોલીસ હવે આ 'અજમેર કનેક્શન'ની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે તેનો પર્દાફાશ થઈ શકે.
શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરનાર નિદા ખાનની કબૂલાત બાદ આ કેસ એક નવા વળાંક પર પહોંચ્યો છે. પીડિતાએ મુકેલા આ ગંભીર આરોપો અને તપાસમાં મળેલા પુરાવાઓ સૂચવે છે કે આ કોઈ છૂટીછવાઈ ઘટના નહીં, પરંતુ એક સુનિયોજિત રીતે ચલાવવામાં આવતું ધર્માંતરણનું કાવતરું હતું. નાસિક પોલીસ આ મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચોઃ 7 વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાતે Xi Jinping, માત્ર મિત્રતા કે વ્યૂહાત્મક રમત?