વિદેશમાં કામ કરતા ભારતીયોની સલામતી પર એક ગંભીર પ્રશ્નચિહ્ન મૂકતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી 33 વર્ષીય નાવિક રાકેશ ચૌહાણ, જેઓ નવેમ્બર 2025 માં મર્ચન્ટ નેવીમાં કામ કરવા માટે વેનેઝુએલા ગયા હતા, તેમનું મે 2026માં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. જ્યારે તેમનો મૃતદેહ એક મહિના પછી ભારત પહોંચ્યો, ત્યારે પરિવારને જે જાણવા મળ્યું તે કોઈ હોરર ફિલ્મથી ઓછું નહોતું. બીજા પોસ્ટમોર્ટમ દરમિયાન ખુલાસો થયો કે રાકેશના શરીરના મગજ, હૃદય, ફેફસાં, કિડની, લીવર સહિતના તમામ મહત્વના આંતરિક અંગો ગાયબ હતા.

પરિવારને શંકા જતા ઘટના સામે આવી

આ ઘટનાની શરૂઆત ખૂબ જ શંકાસ્પદ રહી છે. કંપની અને વેનેઝુએલાના અધિકારીઓએ શરૂઆતમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું, પરંતુ અગાઉ કંપનીના અધિકારીઓએ પરિવારને ફોન પર અલગ-અલગ વાર્તાઓ જણાવી હતી.પહેલા અકસ્માત અને ઈજાની વાત કરી, ત્યારબાદ મૃત્યુની પુષ્ટિ કરી. દસ્તાવેજોમાં મૃત્યુનું કારણ બદલી નાખવાની આ હરકત પરિવારની શંકાને વધુ મજબૂત બનાવે છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો પણ સ્તબ્ધ હતા, કારણ કે શરીર પર માથાથી પેટ સુધી ડઝનબંધ ટાંકા હતા, જે દર્શાવે છે કે આંતરિક અંગોને વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવ્યા હતા.

અંગ તસ્કરીની ઘટના આવી સામે

સામાન્ય તબીબી પ્રક્રિયામાં મૃત્યુનું કારણ જાણવા માટે નમૂના લેવામાં આવે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં અંગોની ગેરહાજરી અને કોઈ રિપોર્ટ ન મળવો એ અંગ તસ્કરી (Organ Trafficking) અથવા કોઈ મોટા ગુનાને છુપાવવાની આશંકા જન્માવે છે. ફેડરેશન ઓફ સીફેરર્સ યુનિયન્સ (FSUI) એ આ મામલાને ગંભીર ગણાવીને વિદેશી જમીન પર ભારતીય કામદારોની સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો છે.

ભારતીય નાગરિકો સાથે થતા ખરાબ વ્યહાર પર ગંભીર સવાલો

પરિવાર આજે એક તરફ પુત્રના ગુમાવ્યાનું દુઃખ ભોગવી રહ્યો છે, તો બીજી તરફ તેમને તેમનો મૃતદેહ પણ સંપૂર્ણ સ્વરૂપમાં મળ્યો નથી. આ ઘટનાએ વિદેશી કંપનીઓની કામગીરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકો સાથે થતા વ્યવહાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારત સરકાર પાસે ન્યાયની માંગ કરી રહેલા રાકેશના પરિવારનો પ્રશ્ન અત્યંત વ્યાજબી છે.જો મૃત્યુ કુદરતી હતું, તો રાકેશના અંગો ક્યાં ગયા? આ મામલો હવે તપાસનો વિષય બન્યો છે, પરંતુ તે ભારતીય કામદારોની સલામતી માટે એક મોટી ચેતવણી સમાન છે.

આ પણ વાંચોઃ Jammu Kashmir ના ડોડામાં વાદળ ફાટ્યું, અનેક રસ્તાઓ બંધ, પાક અને મિલકતને ભારે નુકસાન