મધ્યપ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપથી બાળકોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને કડક સૂચનાઓ આપી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ આદેશ આપ્યો છે કે દરેક ફાર્માસ્યુટિકલ કંપનીએ હવે ઉત્પાદન કરતા પહેલા તમામ કાચા માલ અને તૈયાર દવાઓનું પરીક્ષણ કરવું પડશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ડૉ. રાજીવ સિંહ રઘુવંશીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર્સને પત્ર લખીને જણાવ્યું છે કે નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે કે ઘણી કંપનીઓ કાચા માલ (એક્સીપિયન્ટ્સ અને સક્રિય ઘટકો)ના દરેક બેચનું પરીક્ષણ કરી રહી નથી.


કડક કાર્યવાહી માટે સૂચનાઓ

સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ડ્રગ્સ રૂલ્સ, 1945 ના નિયમો 74(c) અને 78(c)(ii) અનુસાર, દરેક બેચનું પરીક્ષણ ફરજિયાત છે અને રેકોર્ડ જાળવવા આવશ્યક છે. રાજ્યોને તેમના વિસ્તારોમાં દવા ઉત્પાદન એકમો પર દેખરેખ વધારવા, કાચો માલ ફક્ત વિશ્વસનીય વિક્રેતાઓ પાસેથી જ ખરીદવામાં આવે તેની ખાતરી કરવા અને પાલન ન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ઘણા રાજ્યોમાં કફ સિરપ પર પ્રતિબંધ

સરકારે જણાવ્યું છે કે દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને દવાઓની ગુણવત્તા જાળવવા માટે આ પગલું આવશ્યક છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મૃત્યુના કિસ્સા નોંધાયા છે. મધ્યપ્રદેશમાં 16-17 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે રાજસ્થાનમાં 4 મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં તપાસ શરૂ કરી છે અને અસરગ્રસ્ત રાજ્યોએ સીરપ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે ઘણા રાજ્યોમાં તપાસ પણ શરૂ કરી છે. ઝેરી કફ સિરપ કિડની ફેલ્યોરનું કારણ બની રહ્યું છે. તેમાં ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું જાણવા મળ્યું છે, જે વાહનના બ્રેક ફ્લુઈડમાં વપરાતું રસાયણ છે.

  • Follow us on: