ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પવિત્ર શહેર પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ગંભીર ભય પેદા થયો છે. બંને નદીઓના જળસ્તરમાં થયેલા ભારે ઉછાળાને કારણે સંગમસ્થિત પ્રસિદ્ધ બડે હનુમાનજી મંદિર સુધી પાણી પહોંચી ગયું છે. પાણીના સ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે એવી ધાર્મિક અટકળો શરૂ થઈ છે કે માતા ગંગા ટૂંક સમયમાં મંદિરમાં પ્રવેશ કરીને હનુમાનજીને પવિત્ર સ્નાન કરાવી શકે છે.
https://twitter.com/73ps_/status/2091753472396075359

વરુણા નદીના પાણી બંને કાઠે વહેવા લાગ્યા

પ્રયાગરાજ સિવાય કાશી (વારાણસી) માં પણ ગંગા અને તેની સહાયક નદી વરુણા નદીના પાણી કાંઠા ઓળંગીને વહેવા લાગ્યા છે. વરુણ કોરિડોર અને તેની આસપાસના અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી સીધા ઘરોની અંદર ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગંગા નદીનું જળસ્તર વધ્યું

સ્થાનિક તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજના ફાફામઉમાં ગંગાનું જળસ્તર ૮૧.૨૭ મીટર, છટનાગમાં ૮૦.૩૦ મીટર અને નૈનીમાં યમુનાનું જળસ્તર ૮૦.૬૩ મીટર નોંધાયું છે. જોકે નદીઓ હજુ ભયજનક સપાટી (૮૪.૭૩૪ મીટર) ની નીચે છે, તેમ છતાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ અને બેરેજમાંથી છોડવામાં આવતા પાણીના કારણે દારાગંજ, સલોરી, નૈની, ગંગાનગર, કરેલી અને રાજાપુર જેવા નીચાણવાળા વિસ્તારોના લોકોમાં ચિંતા વધી ગઈ છે. પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે જોખમી માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Career Options: બોલવાની કળાથી કમાઓ લાખો રૂપિયા, આ રહ્યા શાનદાર કરિયર ઓપ્શન્સ