ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ખીરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓયલ કસ્બાની પાસે લખીમપુરથી લખનઉંને જોડનારા સ્ટેટ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી રોડવેઝ બસ અને ઓમની વાન ધડાકાભેર અથડાઈ છે, જેમાં ઓમની વાનમાં સવાર 15 મુસાફરોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 10 મુસાફરની સ્થિતિ ગંભીર છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વાનમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા
જણાવી દઈએ કે ખીરી પોલીસ સ્ટેશનમાં લખીમપુરથી લખનઉં જતા સ્ટેટ હાઈવે પર એક તરફના રોડ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના કારણે વાહનો એક જ બાજુના રોડ પર અવરજવર કરી રહ્યા છે. ત્યારે લગભગ 15 મુસાફર સવાર હતા, તે ઓમની વાન સીતાપુરથી લખીમપુર તરફ આવી રહી હતી. લખીમપુરથી એક રોડવેઝ બસ લખનઉં તરફ જઈ રહી હતી, ત્યારે બંને ગાડીઓ ટકરાઈ, જેમાં વાનમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. જેમાં 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને લખનઉંના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.













