બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા ઢાકા પરત ફરવાની યોજના વચ્ચે ભારતે પ્રતિક્રિયા આપી હતી. જેમાં જણાવ્યું હતું કે આ મુદ્દા પર તેનું વલણ યથાવત છે. સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન બાદ તેમની સરકારના પતન દરમિયાન 78 વર્ષીય હસીના ઓગસ્ટ 2024 માં ઢાકા છોડીને ભારત આવી ગયા હતા ત્યારથી તેઓ ભારતમાં રહી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ, હસીનાના નજીકના સૂત્રોએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન તેમના અવામી લીગ પક્ષને ફરીથી એક્ટિવ કરવા માટે સ્વેચ્છાએ ઢાકા પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "આ બાબતે અમારા વલણમાં કોઈ ફેરફાર થયો નથી. પ્રત્યાર્પણ સંબંધિત કોઈપણ બાબત કાયદાકીય બાબત છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે."

2024 બાંગ્લાદેશની કોર્ટે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી

ગયા વર્ષે નવેમ્બરમાં ઢાકાની એક ખાસ અદાલતે 2024 માં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનો પર સરકારના કથિત ક્રૂર કાર્યવાહી સાથે સંબંધિત "માનવતા વિરુદ્ધના ગુનાઓ" માટે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ચુકાદા પછી, બાંગ્લાદેશ સતત કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે ભારતથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. આ દરમિયાન, અવામી લીગની પ્રચાર ઉપસમિતિના સભ્ય કાઝી નસીમ રૂપકએ શુક્રવારે કહ્યું, "આપણે બધા આપણા નેતાનું સ્વાગત કરવા તૈયાર છીએ."

બાંગ્લાદેશે શેખ હસીનાના વાપસીના પ્લાનનું સ્વાગત કર્યું છે. ઢાકાએ જણાવ્યું છે કે શેખ હસીનાએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાને હસીનાને વિશ્વના શ્રેષ્ઠ વકીલને પોતાની સાથે લાવવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: સેલેરી આવી ગઈ પણ PF જમા નથી થયો? આજે છેલ્લી તારીખ, તરત જ કરો આ કામ