વિશ્વ હવામાન સંગઠન (WMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નવા વૈશ્વિક અહેવાલમાં અલ નિનોને લઈને ગંભીર ચેતવણી આપવામાં આવી છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વર્ષે ભારતની ચોમાસાની ઋતુ પહેલેથી જ અલ નિનોથી પ્રભાવિત રહી છે, અને હવે આગામી શિયાળાના મહિનાઓ દરમિયાન પણ અસામાન્ય ગરમી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. WMOના જણાવ્યા અનુસાર, અસામાન્ય રીતે ગરમ થઈ રહેલો પ્રશાંત મહાસાગર વૈશ્વિક હવામાન માટે મોટો પડકાર બની ગયો છે. અલ નિનો હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયો છે અને તે ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ટકી રહેવાની પૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૨૬ દરમિયાન વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહી શકે છે.
સમુદ્રનું તાપમાન વધતાં વૈશ્વિક સ્તરે વધ્યું આબોહવા દબાણ
વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ, પેસિફિક મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં ૨.૬ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે. આ સમુદ્રી ગરમીને કારણે વૈશ્વિક હવામાન પદ્ધતિમાં ગંભીર વિક્ષેપ પડી શકે છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારત પર પણ પડવાની પૂરી શક્યતા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિશ્વ એવા સમયમાં પ્રવેશી રહ્યું છે જ્યાં સમુદ્ર અને જમીન બંને સતત ગરમ થઈ રહ્યા છે, જેના કારણે આબોહવાકીય જોખમોમાં સતત વધારો થઈ રહ્યો છે. 

