નેપાળમાં આવેલી ભયંકર પૂર હોનારત બાદ બચાવ કામગીરી સતત ચાલુ છે. તાજેતરમાં 21 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા છે. આ તમામ લોકો તમિલનાડુના યાત્રાળુઓ છે, જેઓ હવે દિલ્હીથી સીધા જ પોતાના વતન તમિલનાડુ જવા રવાના થશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીના IGI એરપોર્ટ પર આ રેસ્ક્યુ કરાયેલા લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતચીત કરીને હિંમત આપી હતી.

પાવર પ્રોજેક્ટ અને ચીન બોર્ડરથી રેસ્ક્યુ કામગીરી

વિદેશ મંત્રાલય (MEA) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આફત અંગે મહત્વની અપડેટ આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળના 'ત્રિશુલી વન જળવિદ્યુત પરિયોજના' (હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ) પર કામ કરી રહેલા 63 ભારતીયોને ગઈકાલે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચીન તરફ ફસાયેલા 96 ભારતીય નાગરિકો પણ સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે અને હવે તેમને વહેલી તકે ભારત લાવવા માટેના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.

320 ભારતીયો લાપતા, કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ સાથે સંપર્ક વિહોણો

બચાવ કામગીરી વચ્ચે કેટલાક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂર પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ 320 જેટલા ભારતીયો લાપતા છે અથવા તો તેમની સાથે કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. આ સાથે જ, કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ભારતીય મૂળના લગભગ 100 લોકોનો પણ હજુ સુધી કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. સરકાર દ્વારા તમામ એજન્સીઓને કામે લગાડીને આ લાપતા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Nepal Flash Flood: ISROની સેટેલાઇટ તસવીરોથી ખુલાસો, ચીન રોકી શક્યું હોત તબાહી