વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બિશ્કેકમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ . બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધો ઉપરાંત યુક્રેન યુદ્ધ સહિતના મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બિશ્કેકમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ . બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધો ઉપરાંત યુક્રેન યુદ્ધ સહિતના મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
વડાપ્રધાન મોદીએ યુક્રેન સંકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત શાંતિ તરફના તમામ પ્રયાસોને સતત સમર્થન આપતું આવ્યું છે અને આગળ પણ આપતું રહેશે. તેમણે કહ્યું કે દરેક પસાર થતો યુદ્ધનો દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફનું દરેક પગલું નવી આશા અને ઉત્સાહ પેદા કરે છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે હવે અનંત યુદ્ધથી દૂર જઈને યુદ્ધનો અંત લાવવાની દિશામાં આગળ વધવાની જરૂર છે. માનવતાના કલ્યાણ માટે તમામ મુદ્દાઓનો વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ જરૂરી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધની ધરતીનો સંદેશ પણ એક જ છે 'શાંતિનો માર્ગ'.
બેઠક દરમિયાન PM મોદીએ પુતિનની ભારતની અગાઉની મુલાકાતને સફળ અને યાદગાર ગણાવી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેનો સહયોગ સતત નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે અને બંને દેશોના લોકોના કલ્યાણ માટે સાથે મળીને કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી એ ભારત અને રશિયાનો સહિયારો અભિગમ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ જ માર્ગદર્શક સિદ્ધાંત રહેશે.
રશિયા-ભારત સંબંધો વિશેષ અને વિશેષાધિકૃત ભાગીદારીના સિદ્ધાંતો પર સતત મજબૂત બની રહ્યા છે. પુતિને ભારત-રશિયા સંબંધો પર PM મોદીના વિશેષ ધ્યાનની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે વિકસેલા વ્યવસાયિક તથા મૈત્રીપૂર્ણ સંબંધો બદલ આભાર વ્યક્ત કર્યો.