સાઉદી અરબમાં થયેલા બસ અકસ્માતમાં 42 ભારતીયોના મોત થયા છે. તીર્થયાત્રીઓ ભરેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઇ હતી. આ બસ મક્કાથી મદીના જઇ રહી હતી ત્યારે ટેન્કર સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઇ હતી.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
ઘટનાને પગલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે મદીનામાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખ થયું છે. જે પરિવારે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું તમામ ઇજાગ્રસ્તોને જડપી સાજા થવાની પ્રાર્થના કરું છું, રિયાદ સ્થિત આપણુ દૂતાવાસ અને જેદ્દા સ્થિત વાણિજ્ય દૂતાવાસ દરેક સંભવિત મદદ કરી રહ્યા છે. અમારા અધિકારી સાઉદી અરબના અધિકારીઓ સાથે નિરંતર સંપર્કમાં છે.
તેલંગાણા કચેરી તરફથી માહિતી એકત્રિત કરવાની સૂચના અપાઇ
તેલંગાણા મુખ્યમંત્રી કચેરી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને જણાવાયું છે કે મુખ્યમંત્રીએ તાત્કાલિક મુખ્ય સચિવ અને ડીજીપીને અકસ્માત સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવાની સૂચના આપી છે. સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલા લોકો હૈદરાબાદના રહેવાસી હતા તેની પણ માહિતી એકત્રિત કરવાની કહેવામાં આવી છે. મુખ્યમંત્રીએ સરકારના ઉચ્ચ અધિકારીઓને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધવા અને સાઉદી અરબ દૂતાવાસ પાસેથી માહિતી મેળવવાનું સૂચન કર્યું છે.
મુખ્ય સચિવના નિર્દેશ પર અધિકારીઓ માહિતી એકત્રિત કરી રહ્યા છે કે સાઉદી અરબમાં અકસ્માતનો ભોગ બનેલા કેટલા લોકો તેલંગાણાના હતા અને સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે જેથી પીડિત પરિવારોને માહિતી આપવામાં આવી શકે.
વિદેશ મંત્રી જયશંકરે શોક વ્યક્ત કર્યો
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સાઉદી અરેબિયામાં બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું, "સાઉદી અરેબિયાના મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી ખૂબ જ આઘાત લાગ્યો છે. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ આ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."