સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિ અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડી દીધું છે. યુએન (UN) માં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનની નીતિઓ પર આકરા પ્રહારો કરતા અફઘાનિસ્તાનની ધરતી પર તેના દ્વારા કરવામાં આવતા સરહદ પારના હુમલાઓને "નરસંહાર" સમાન ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે.


દંભનું ઉત્કૃષ્ટ ઉદાહરણ- ભારત 

ભારતીય પ્રતિનિધિએ ઉમેર્યું કે, પાકિસ્તાન આતંકવાદ વિરોધી કાર્યવાહીના બહાના હેઠળ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે, જે તેના "દંભનું ઉત્કૃષ્ટ ઉદાહરણ" છે. માત્ર લશ્કરી કાર્યવાહીનું લેબલ લગાવી દેવાથી કોઈપણ દેશ તેના દ્વારા કરવામાં આવેલા નિર્દોષોના નરસંહારના પાપમાંથી મુક્ત થઈ શકતો નથી.

રમઝાન માસમાં નિર્દોષોની હત્યા અને આર્થિક નાકાબંધી

ભારતે યુએન સમક્ષ અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશન (UNAMA) ના સત્તાવાર આંકડા રજૂ કરીને પાકિસ્તાનની ક્રૂરતાનો પર્દાફાશ કર્યો:

નાગરિકોની જાનહાનિ: વર્ષ 2026 ના પ્રથમ ત્રણ મહિનામાં જ અફઘાનિસ્તાનમાં 372 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી મોટાભાગના મોતના કિસ્સા પવિત્ર રમઝાન માસ દરમિયાન નોંધાયા હતા.

વેપારી માર્ગોમાં અવરોધ: અફઘાનિસ્તાન ચારેય બાજુથી જમીનથી ઘેરાયેલો (Landlocked) દેશ હોવાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન તેના પરંપરાગત વેપાર માર્ગોને રોકી રહ્યું છે. અફઘાન માલસામાન પર પ્રતિબંધો લાદીને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય વેપાર નિયમો અને યુએન ચાર્ટરના ધજાગરા ઉડાવ્યા છે.


સંકટના સમયમાં અફઘાનિસ્તાનનો સાચો સાથી બન્યું ભારત

એક તરફ જ્યાં પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતે મુશ્કેલ સમયમાં અફઘાન જનતાની પડખે ઊભા રહીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પી. હરીશે વર્ષ 2021 થી ભારત દ્વારા મોકલવામાં આવેલી સહાયની વિગતો રજૂ કરી:


સહાય સામગ્રી વિગત જથ્થો
અનાજ પુરવઠો 50,000 ટન ઘઉં
તબીબી સહાય 420 ટન આવશ્યક દવાઓ અને રસીઓ
કૃષિ સુરક્ષા 40,000 લિટર જંતુનાશકો


વધુમાં, આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ભારતે રસીઓ અને પૂર રાહત સામગ્રીનો મોટો જથ્થો કાબુલ મોકલ્યો હતો.


અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતનું યોગદાન

માનવતાવાદી સહાય ઉપરાંત, નવી દિલ્હી અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતોના સર્વાંગી વિકાસ માટે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. હાલમાં દેશમાં 500 થી વધુ ભારતીય પ્રોજેક્ટ્સ કાર્યરત છે:


આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ: ભારતે અફઘાનિસ્તાનના પક્તિકા, પક્તિયા અને ખોસ્ત પ્રાંતમાં આધુનિક મેટરનિટી ક્લિનિક્સ (પ્રસૂતિ ગૃહો) બનાવ્યા છે.

મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: કાબુલ સ્થિત વિખ્યાત 'ઇન્દિરા ગાંધી બાળ આરોગ્ય સંસ્થા'ના આધુનિકીકરણ સાથે ભારતે ત્યાં એક ટ્રોમા સેન્ટર, ઓન્કોલોજી સેન્ટર અને 30 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

રમતગમત પ્રોત્સાહન: રમતગમતના સંબંધો મજબૂત કરવાના ભાગરૂપે ભારત ટૂંક સમયમાં જ દ્વિપક્ષીય શ્રેણી માટે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમની યજમાની કરવાનું છે.

ભારતનો સ્પષ્ટ સંદેશ: વૈશ્વિક મંચ પર ભારતનું વલણ સ્પષ્ટ કરતા પી. હરીશે છેલ્લે જણાવ્યું હતું કે, અમારા અફઘાન ભાઈઓ અને બહેનો પાકિસ્તાની શોષણથી ઘણું વધુ સારું જીવન અને સન્માન મેળવવાના હકદાર છે.


આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?


  • Follow us on: