ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધી અમેરિકાથી કુલ 1,076 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 5 જૂને આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન અમેરિકાથી કુલ 3,567 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા.


અમેરિકાની ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશો ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આવા લોકોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ગેરકાયદે રીતે રહેતો હોય તો તેની નાગરિકતાની પુષ્ટિ થયા બાદ તેને પરત સ્વીકારવાની જવાબદારી સંબંધિત દેશ સાથે સંકલન કરીને નિભાવવામાં આવે છે. જોકે, વ્યક્તિ ભારતીય નાગરિક છે તેની સત્તાવાર પુષ્ટિ જરૂરી ગણવામાં આવે છે.

આ માત્ર ભારતની નીતિ નથી પણ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત છે

વિદેશ મંત્રાલયે અગાઉ સંસદમાં પણ જણાવ્યું હતું કે આ માત્ર ભારતની નીતિ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્વીકારવામાં આવેલ સામાન્ય સિદ્ધાંત છે. સરકાર એવા લોકોની ઓળખ અને વતન વાપસી માટે અમેરિકા સાથે સતત સહયોગ કરી રહી છે, જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેમના વિઝા સમાપ્ત થઈ ગયા હતા અથવા જે જરૂરી દસ્તાવેજો વગર ત્યાં રહેતા હતા.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાની તરફથી મોકલવામાં આવેલી યાદીની ભારતીય એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ લોકોને ભારત પરત લાવવામાં આવે છે જેમની ભારતીય નાગરિકતા સત્તાવાર રીતે પ્રમાણિત થાય છે. આ પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો : PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન


  • Follow us on: