- ઝારખંડમાં CPI (માઓવાદી)ની ધરપકડ
- હથિયારો જપ્ત કરવાના કેસમાં કાર્યવાહી
- સમગ્ર મામલે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે ઝારખંડમાં CPI (માઓવાદી)ની ધરપકડ અને હથિયારો જપ્ત કરવાના કેસમાં અન્ય એક આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ ઝારખંડના પ્રદીપ સિંહ ચેરો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં તે 23મો આરોપી છે.
એનઆઈએની તપાસમાં ઘણા સીપીઆઈ (માઓવાદી) સશસ્ત્ર કેડર અને તળિયાના મદદગારોની સંડોવણી બહાર આવી છે. આ કેસની તપાસ જૂન 2022માં તપાસ એજન્સીને સોંપવામાં આવી હતી. ત્યારથી એજન્સીએ પાંચ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. અગાઉ આ કેસની તપાસ કરી રહેલી ઝારખંડ પોલીસે નવ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
આરોપી પ્રદીપ સિંહ ચેરો વિરુદ્ધ આઈપીસીની અનેક કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચેરો પર પ્રતિબંધિત CPI (માઓવાદી)ના ટોચના કમાન્ડર પ્રશાંત બોઝની ધરપકડનો બદલો લેવા માટે સુરક્ષા દળો પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તેની સામે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને UA(P) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સુરક્ષા દળો પર આ હુમલો ફેબ્રુઆરી 2023માં થયો હતો
ચેરોએ ફેબ્રુઆરી 2023માં ઝારખંડના લોહરદગા જિલ્લાના પેશરાર વિસ્તારમાં સુરક્ષા દળો પર આ હુમલો કર્યો હતો. તે સમયે સીપીઆઈ (માઓવાદી)ના પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંઝુના નેતૃત્વમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવા માટે લોહરદગાના બુલબુલ જંગલમાં એકઠા થયા હતા. ગંઝુની સાથે સીપીઆઈ (માઓવાદી)ના સક્રિય કાર્યકરો બલરામ ઉરાં અને મુનેશ્વર ગંઝુ અને 45-60 વધુ લોકો હતા.
ઝારખંડ પોલીસ અને સીઆરપીએફ સુરક્ષા દળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન સીપીઆઈ (માઓવાદી) કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારપછીના સર્ચ ઓપરેશનમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. હાલ NIA આ મામલાની તપાસ કરી રહી છે.