- નોઈડામાં આવતી તમામ ટ્રેનોની પણ તપાસ કરવામાં આવી રહી છે
- દિલ્હી - નોઈડા ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે
- 8મીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત
નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગ સાથે ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન હવે ખેડૂતોએ સંગઠિત રીતે દિલ્હી તરફ કૂચ કરી છે.
ખેડૂતોની ભીડથી ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
ઉત્તર પ્રદેશથી દિલ્હી જઈ રહેલાં ખેડૂતોને નોઈડામાં પોલીસે અટકાવ્યાં ત્યારે તેઓ અહીંથી ચિલ્લા બોર્ડર તરફ આગળ વધ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, આજે થોડા સમય પહેલાં આ ખેડૂતોને નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે દલિત પ્રેરણા સ્થળ પાસે રોકવામાં આવ્યા હતા. અહીં ખેડૂતોની ભીડ છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
પોલીસે અહીંના માર્ગો પહેલાથી જ ડાયવર્ટ કરી દીધા
વધુમાં તમને જણાવી દઈએ કે, પોલીસે અહીંના માર્ગો પહેલાથી જ ડાયવર્ટ કરી દીધા હતાં. ક્રેઈન, બુલડોઝર, વજ્ર વાહનો અને ડ્રોન કેમેરાથી પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર પર લાંબો જામ રહ્યો હતો. અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં. જેથી લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, પોલીસ સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે, જેથી તેઓ તેમનો વિરોધ બંધ કરે.
કલમ 144 હેઠળ 5 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ
ખેડૂતોના પ્રદર્શન પહેલા કલમ 144 હેઠળ 5 થી વધુ લોકોના એકઠા થવા અને ધાર્મિક અને રાજકીય સહિત અન્ય કોઈપણ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ છે. ટ્રાફિક પોલીસે દાદરી, તિલાપાટા, સૂરજપુર, સિરસા, રામપુર-ફતેહપુર અને ગ્રેટર નોઈડાના અન્ય માર્ગો પર ડાયવર્ઝન અંગે લોકોને ચેતવણી આપી છે.
ગૌતમ બુદ્ધ નગરના એસીપી
ગૌતમ બુદ્ધ નગરના એસીપી (કાયદો અને વ્યવસ્થા) શિવહરી મીણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાથે જ તમામ સરહદો 24 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. સાથે જ નોઈડા આવતી તમામ ટ્રેનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?
તમને જણાવી દઈએ કે, નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને જમીનના પ્લોટની માંગને લઈને ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથોએ તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ વધારવા માટે 7 ફેબ્રુઆરીએ 'કિસાન મહાપંચાયત' બોલાવી હતી. 8મીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી.
ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી
ખેડૂતોનું કહેવું છે કે સત્તાધીશો દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી. કિસાન સભાના જિલ્લા પ્રમુખ રૂપેશ વર્માએ જણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધ નગરમાં ત્રણેય સત્તામંડળોમાં ખેડૂતોની સમસ્યાઓ સમાન છે. 10% રહેણાંક પ્લોટનો મુદ્દો ત્રણ સત્તામંડળોની બોર્ડ મીટિંગ દ્વારા પસાર થયા બાદ સરકારની મંજૂરી માટે પેન્ડિંગ છે. ખેડૂત નેતા સુનિલ ફૌજીએ જાહેરાત કરી હતી કે અન્ય તમામ સંગઠનોને જોડીને મોટી સંખ્યામાં ખેડૂતોને આંદોલનમાં સામેલ કરવામાં આવશે.









