સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે પરંતુ આજે તો સંસદ પરિસરમાં જ હોબાળો જોવા મળ્યો હતો. એક તરફ વિપક્ષ દ્વારા બાબા સાહેબના બેનરો લઇને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ બીજેપીના સાંસદ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. બીજેપી સાંસદ પ્રતાપ સારંગી ઇજાગ્રસ્ત કેમ થયા તેના જવાબમાં તેમણે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજેપી સાંસદનો આક્ષેપ
બીજેપી સાંસદ સારંગીએ નિવેદન આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો એટલે હું ઇજાગ્રસ્ત થયો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા. જેથી હું પડી ગયો અને ઇજાગ્રસ્ત થયો.
સંસદની અંદર જતા રોકવામાં આવ્યો- રાહુલ ગાંધી
તો બીજી તરફ રાહુલગાંધીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમનું કહેવુ છે કે હું સંસદની અંદર જવા માંગતો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે, મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદો ધક્કો મારી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંસદનું પ્રવેશદ્વાર છે. ભાજપના સાંસદો મને ધક્કો મારતા હતા અને ધમકીઓ આપતા હતા. ભાજપના સાંસદોએ પ્રવેશદ્વાર રોકી દીધો હતો
ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ
મહત્વનું છે કે ઈન્ડિયા એલાયન્સના સાંસદો સંસદમાં મકર દ્વારની દિવાલો પર ચઢી ગયા અને રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામા અને માફીની માગણી કરતા પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો.









