- કન્યાકુમારીમાં પીએમ મોદી કરશે ધ્યાન
- 24 કલાક પીએમ મોદી ધરશે ધ્યાન
- 45 કલાકના પ્રવાસને લઇને ચુસ્ત બંદોબસ્ત
પીએમ નરેન્દ્ર મોદી આજે કન્યાકુમારી પહોંચશે, ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરશે. ત્યારબાદ તેઓ સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન કરશે. ત્યારે પીએમ મોદીના આ કાર્યક્રમને લઇને દરિયાઇ સુરક્ષા સહિત ખૂણે ખૂણે પોલીસ બંદોસ્ત ખડકી દેવાયો છે.
45 કલાક કરશે રોકાણ
ગુરુવારથી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 45 કલાકના રોકાણ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન મોદી અહીં ધ્યાન કરશે. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં બે હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે. પાંચ વર્ષ પહેલા, તેમણે 2019ની ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું.
1 જૂનની સાંજ સુધી ધરશે ધ્યાન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ કહ્યું કે લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત થયા બાદ PM મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બનેલા મેમોરિયલ રોક મેમોરિયલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ આજે સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે.
કવિ તિરુવલ્લુવરના દર્શન
તમએવું માનવામાં આવે છે કે આ સ્થાન પર જ સ્વામી વિવેકાનંદને ભારત માતા વિશે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ, 1 જૂને બપોરે 3 વાગે પીએમ મોદી નજીકના ખડક પર બનેલી મહાન કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લેશે અને તેમને હાર પહેરાવશે.
ચાંપતો બંદોબસ્ત
પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. તિરુનેલવેલી રેન્જના પોલીસ મહાનિરીક્ષક (ડીઆઈજી) પ્રવેશ કુમારે પોલીસ અધિક્ષક ઇ. સુંદરાવથનમ સાથે રોક મેમોરિયલ, બોટ જેટી, હેલીપેડ અને કન્યાકુમારીમાં સ્ટેટ ગેસ્ટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીની સુરક્ષા માટે તૈનાત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હેલીપેડ પર હેલિકોપ્ટર લેન્ડિંગનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.
2000 પોલીસકર્મીઓ તૈનાત
કન્યાકુમારી અને તેની આસપાસ લગભગ 2,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ છે. પીએમ મોદીના કાર્યક્રમ મુજબ તેઓ આજે બપોરે તેમના આધ્યાત્મિક રોકાણ માટે કન્યાકુમારી પહોંચશે. આ પછી તે સ્મારક પર જશે.
કન્યાકુમારી જ કેમ ?
સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા માટે 1893 માં શિકાગો ગયા હતા. અહીં તેમણે એ ભાષણ આપ્યું હતું, જેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો હતો. આજે પણ તેમના ભાષણની ચર્ચા થાય છે. એવું કહેવાય છે કે તે પ્રવાસ પહેલા તેઓ 24 ડિસેમ્બર 1892ના રોજ કન્યાકુમારીની મુલાકાતે ગયા હતા. અહીં દરિયા કિનારેથી લગભગ 500 મીટર દૂર તેમણે પાણીની વચ્ચે એક વિશાળ પથ્થર જોયો. તેઓ તરીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જઇને ધ્યાન માં મગ્ન થઈ ગયા.. અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય અને તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરેન્દ્ર વિવેકાનંદ બની ગયા. સ્વામી વિવેકાનંદે અહીં જ તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.
કેમ ખાસ છે આ જગ્યા ?
વર્ષ 1970 માં પથ્થરની નજીક સ્વામી વિવેકાનંદને સમર્પિત એક ભવ્ય સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં ચાર મંડપ છે. આ મંદિરનું આર્કિટેક્ચર ડીટેઇલ એન્ટિક સ્ટાઇલનું છે. આ 70 ફૂટ ઊંચો ગુંબજ લાલ અને વાદળી ગ્રેનાઈટથી બનેલો છે. આ જગ્યા 6 એકરમાં ફેલાયેલી છે. અહીં 4 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્વામી વિવેકાનંદની મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. કાંસાની બનેલી આ પ્રતિમાની ઉંચાઈ લગભગ સાડા આઠ ફૂટ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ પણ આ સ્થાન પર બેસીને ભગવાન શિવની રાહ જોઇ હતી.આ સ્થાન ભારતનો દક્ષિણ છેડો છે.આ ઉપરાંત આ સ્થાન હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે.









