કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ આપી છે. આવતા વર્ષથી 8મું પગાર પંચ લાગુ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે આઠમા પગાર પંચના અમલની જાહેરાત કરી છે.જે 2026 થી અમલમાં આવશે. અત્યાર સુધી કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર મળતો હતો. આ ઉપરાંત મંત્રીમંડળે શ્રીહરિકોટામાં એક નવા લોન્ચ પેડને મંજૂરી આપી છે, જે ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અવકાશ મિશનને વેગ આપશે.

ક્યારે બનશે અમલી? 

કેબિનેટ બેઠક બાદ એક બ્રીફિંગમાં, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. તેનો અમલ આવતા વર્ષથી થવાનો છે, પરંતુ આ માટે ટૂંક સમયમાં એક કમિશનની રચના કરવામાં આવશે. તેના ચેરમેન અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ક્યારે કરી હતી 7મા પગાર પંચની રચના

મહત્વનું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 2016 માં રચાયેલા 7મા પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવે છે. હવે 8મું પગાર પંચ 2026 થી લાગુ થશે. આ માટે સૂચનો, ભલામણો વગેરે સમયસર આવવા જોઈએ. તેથી તેની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમાં એક ચેરમેન અને બે સભ્યો હશે જેમના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
શ્રીહરિકોટામાં ત્રીજા લોન્ચ પેડ માટે મંજૂરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે શ્રીહરિકોટામાં ત્રીજા લોન્ચ પેડને મંજૂરી આપી દીધી છે. આ લોન્ચ પેડ આધુનિક હશે. જે આગામી પેઢીના લોન્ચ વાહન માટે મદદરૂપ થશે. આ લોન્ચ પેડ પર રોકેટ મૂકી શકાય છે, તેને એસેમ્બલ કરીને સીધુ ઊભુ કરી શકાય છે. તેની કિંમત 3985 કરોડ રૂપિયા હશે. તેની ક્ષમતા અગાઉના બે લોન્ચ પેડ કરતા વધુ હશે.

ક્યાં સુધીમાં બનશે લોન્ચ પેડ?

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ શ્રીહરિકોટામાં ત્રીજા લોન્ચ પેડનું કામ આગામી 48 મહિનામાં પૂર્ણ થશે. તે આગામી 30 વર્ષને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં, ઇસરો માનવ ચંદ્રયાન મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે, આ લોન્ચ પેડનો ઉપયોગ તેમાં પણ કરવામાં આવશે.


  • Follow us on: