• ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, ડેપ્યુટી કલેક્ટરના ઘરને અને બે કારને આગ

  • સુરક્ષાદળે હુમલાખોરોને ખદેડી કાઢયા હતા
  • સ્થિતિ અંકુશમાં લેવા કેન્દ્રે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી

મણિપુરના પાટનગર ઈમ્ફાલની નજીક આવેલા મુખ્યંમત્રી બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર મોડી રાત્રે હુમલો કરાયો હતો. જો કે સુરક્ષાદળે હુમલાખોરોને ખદેડી કાઢયા હતા. ઘરમાં કોઈ રહેતું નથી. ઘર કાયમ બંધ જ રહે છે. બીજી બાજુ ઈમ્ફાલમાં ફરી એકવાર હિંસા ભડકી છે. બે યુવકોની હિંસાનાં મામલે બુધવારે શરૂ થયેલી હિંસાનો દોર ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. નવેસરથી ફાટી નીકળેલી હિંસામાં તોફાને ચઢેલા ટોળાએ જિલ્લા અધિકારી (DC) ની ઓફિસમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. કેટલાક વાહનોને આગ લગાડીને સળગાવી દીધા હતા. બુધવારે તોફાનીઓએ થોબુલ જિલ્લામાં ભાજપની ઓફિસમાં આગ લગાડી હતી. ઈમ્ફાલમાં પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં જિલ્લા ડેપ્યુટી કલેકટરનાં ઘરને આગ લગાડાઈ હતી. બે મોટરકારને સળગાવી દેવાઈ હતી.

મણિપુરમાં સ્થિતિ અંકુશમાં લેવા કેન્દ્રે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી

કેન્દ્ર સરકારે સ્થિતિ અંકુશમાં લેવા માટે આ વખતે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી છે. જેમની હત્યાનાં અહેવાલોએ હિંસા ભડકાવી છે તે બંને વિદ્યાર્થીઓ જુલાઈમાં ગુમ થઈ ગયા હતા. તેમનું અપહરણ કરાયું હોવાનાં અહેવાલો હતા. વિદ્યાર્થીઓની હત્યાના સમાચાર દાવાનળની જેમ ફેલાયા પછી રોષે ભરાયેલા લોકોએ ઈમ્ફાલમાં વાહનો અને મકાનોને સળગાવ્યા હતા. રસ્તા બ્લોક કર્યા હતા. જિલ્લા અધિકારી (DC)ની ઓફિસમાં તોડફોડ કરી હતી. સરકારી માલ મિલકતોને ભારે નુકસાન પહોંચાડયું હતું. રાજ્યમાં સ્થિતિ જે રીતે બેકાબૂ બની છે તે પછી કેન્દ્રનાં ગૃહમંત્રાલયે શ્રીનગરનાં ટોચના પોલીસ અધિકારી રાકેશ બલવાલને મણિપુર મોકલ્યા છે. બલવાલ હાલ શ્રીનગરમાં SSP છે.


  • Follow us on: