• 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગર્ભગૃહ દર્શન માટે ખુલ્લું મૂકવાની સરકારની યોજના

  • મંદિરની દીવાલના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરાઈ રહ્યો છે
  • શિલાન્યાસ કર્યાના બે વર્ષ બાદ અયોધ્યા ખાતે મંદિર નિર્માણનું 40 ટકા કાર્ય સંપન્ન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યાના બે વર્ષ બાદ અયોધ્યા ખાતે મંદિર નિર્માણનું 40 ટકા કાર્ય સંપન્ન થઈ ગયું છે. આ માહિતી મંદિર નિર્માણમાં લાગેલા એન્જિનિયર્સે આપી છે. મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય 2024માં સંપન્ન થઈ જાય તેવી અપેક્ષા છે. રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા કામ પર રખાયેલા પાંચ સુપરવાઇઝિંગ ઇજનેરો પૈકીના એક જગદીશે જણાવ્યું હતું કે, હાલ પ્લીન્થનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે સાથે જ અમે ગર્ભગૃહથી વાસ્તવિક મંદિરનું નિર્માણ કાર્ય પણ શરૂ કરી દીધું છે. રાજસ્થાનના ગુલાબી પથ્થરનો મંદિરની દીવાલના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રામમંદિર નિર્માણસ્થળને શુક્રવારે મીડિયા માટે ખુલ્લું મુકાયું હતું. નિર્માણસ્થળના વીડિયોમાં જોવા મળે છે કે પ્લીન્થના નિર્માણ માટે ઉપયોગમાં લેવાઈ રહેલા મોટા પથ્થરોને જંગી ક્રેનોની મદદથી ઊંચકવામાં આવી રહ્યા છે. એક અન્ય એન્જિનિયરે કહ્યું હતું કે આ સ્થળે કામ કરવું ગર્વની વાત છે. આ વર્ષે જૂન મહિનામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહના શિલાન્યાસ કર્યો હતો.

2024ની ચૂંટણી પહેલાં ગર્ભગૃહ ખૂલી જશે

અહેવાલો અનુસાર વર્ષ 2024માં દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીઓ પહેલાં રામભક્તો રામલલાના દર્શન કરી શકે તે માટે મંદિરના ગર્ભગૃહને દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે. ભાજપને રામમંદિર નિર્માણથી રાજકીય લાભ મળવાની પણ આશા છે. મંદિર નિર્માણ માટેની જવાબદારી ધરાવતા રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાનના મકરાણાના પહાડમાંથી લવાયેલા સફેદ આરસથી ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવશે.

13,300 કયૂબિક ફૂટ આરસ વપરાશે

રામમંદિરના ગર્ભગૃહના નિર્માણ માટે મકરાણાનો 13,300 ક્યૂબિક ફૂટ સફેદ આરસનો કોતરણી કરવામાં આવેલા પથ્થરના ઉપયોગ થશે. તે ઉપરાંત 8થી 9 લાખ ક્યૂબિક ફૂટ કોતરણી કરાયેલા સેન્ડસ્ટોન પથ્થર, 6.37 લાખ ક્યૂબિક ફૂટ કોતરણી કરાયા વિનાના ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે.

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં ખાતમુહૂર્ત કર્યુ હતું. એક ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું અને તે બાદ કામ શરૂ કયુંર્ હતું.


  • Follow us on: