- ઝારખંડના પાટનગર રાંચીમાં વીરેન્દ્ર રામ મામલે વિવિધ સ્થળોએ ઈડીના દરોડા, છ મશીન દ્વારા 16 કલાકથી ગણતરી
- મંત્રીના પીએનો નોકર પણ 30 કરોડનો આસામી, નોટો ગણવાના મશીન અને સ્ટીલના ટ્રંક લવાયાં,
- જ્વેલરી પણ જપ્ત કરાઈ, મંત્રી આલમગીર શંકાના દાયરામાં, વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
ઝારખંડના પાટનગર રાંચીમાં વિવિધ સ્થળોએ વીરેન્દ્ર રામ મામલે દરોડામાં ઇડીએ રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમના અંગત સચિવ સંજીવ પાલના ઘરનોકરને ત્યાંથી સોમવારે 30 કરોડ રૂપિયાથી વધુ રોકડ જપ્ત કરી. સાથે જ જ્વેલરી પણ જપ્ત કરાઇ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર જપ્ત કરાયેલી રોકડ રકમમાં મોટાભાગે 500 રૂપિયાની નોટો છે. સંજીવ પાલના ઘરે નોટો ગણવાના મશીન અને સ્ટીલના ટ્રંક લવાયાં હતા. માર્ગ નિર્માણ વિભાગના એન્જિનિયર વિકાસકુમારના ઘરે પણ ઇડીના દરોડા પડયા હતા. નોંધનીય છે કે ઇડીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે ઘણી મોટી હસ્તીઓ સાથે સંબંધોનો ખુલાસો કર્યો હતો. વીરેન્દ્ર રામને ત્યાંથી રૂ. 150 કરોડની સંપત્તિ મળી હતી. આ ઉપરાંત બે કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી, એક લેપટોપ અને કેટલીક પેનડ્રાઇવ પણ મળી હતી. વીરેન્દ્ર રામના 24 ઠેકાણાઓ પર ગત વર્ષે 21 ફેબ્રુઆરીએ શરૂ થયેલી દરોડાની કાર્યવાહી બીજા દિવસે પૂરી થઇ હતી. આ દરમિયાન તેની પાસેથી કબજે લેવાયેલા દસ્તાવેજોના આધારે બે દિવસ સુધી તેની પૂછપરછ કરાઇ હતી. વીરેન્દ્ર રામ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. ગત વર્ષે ઇડીએ આરોપ લગાવ્યો હતો કે વીરેન્દ્રએ કોન્ટ્રાક્ટર્સને ટેન્ડર આપવાના બદલામાં કમિશન પેટે કરોડોની કાળી કમાણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે સમયે જ ઈડીના દરોડા દરમિયાન મળી આવેલી આટલી જંગી રોકડના પગલે રાજકારણ પણ ગરમાયું છે. રાજકીય પક્ષો એક-બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે.










