• 24મા કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ પ્રધાનની શહીદોને શ્રાદ્ધાંજલિ

  • દેશનું સન્માન અને પ્રતિષ્ઠા જાળવવા કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએઃ સંરક્ષણ પ્રધાન
  • પાકિસ્તાને પીઠમાં છરો ભોંક્યો હતો

 કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે ભારત પોતાનું સન્માન અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે નિયંત્રણ રેખા (એલઓસી)ને પાર કરવા માટે પણ તૈયાર છે. સાથે જ તેમણે સામાન્ય નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોનું સમર્થન કરવા માટે તૈયાર રહેવા પણ આહ્વાન કર્યું હતું. રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધનું ઉદાહરણ આપતા રાજનાથે કહ્યું હતું કે આ યુદ્ધ એક વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલી રહ્યું છે કારણ કે નાગરિકો આગળ આવ્યા છે અને તેઓ યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. અહીં 24મા કારગિલ વિજય દિવસ પ્રસંગે કારગિલ વિજય સ્મારક પર દિવંગત શહીદોને પુષ્પચક્ર અર્પિત કર્યા બાદ રાજનાથસિંહે 1999ના કારગિલ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રાદ્ધાંજલિ આપી હતી. રાજનાથે કહ્યું હતું કે અમે દેશનું સન્માન અને દેશની પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. જો તેના માટે એલઓસીને પાર કરવી પડે તો અમે તે કરવા પણ તૈયાર છીએ. જો અમને ઉશ્કેરવામાં આવશે અને જરૂર પડશે તો અમે એલઓસીને પાર કરી જઈશું. જ્યારે પણ યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે આપણી જનતાએ હંમેશાં દેશના જવાનોને સમર્થન આપ્યું છે પરંતુ આ સમર્થન પરોક્ષ રીતે રહ્યું છે.

હું લોકોને અપીલ કરું છું કે તો જરૂર પડયે યુદ્ધભૂમિમાં સૈનિકોને પ્રત્યક્ષરૂપે અને માનસિક રીતે સહકાર આપવા તૈયાર રહે. પાકિસ્તાને પીઠમાં છરો ભોંક્યો હતો

રાજનાથે કહ્યું હતું કે કારગિલ યુદ્ધ ભારત પર લાદવામાં આવ્યુ હતું અને પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત પર કારગિલ યુદ્ધ લાદવામાં આવ્યું હતું. જે સમયે ભારત વાતચીત મારફત પાકિસ્તાન સાથે મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાને આપડી પીઠમાં છરો ભોંકી દીધો હતો. ઓપરેશન વિજય દરમિયાન ભારતીય સેનાએ માત્ર પાકિસ્તાન જ નહીં પણ સમગ્ર દુનિયાને સંદેશ આપ્યો હતો કે જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવશે ત્યારે સેના કોઈપણ કિંમતે પીછેહઠ નહીં કરે.

 સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે અમે આજે પણ રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. સિંહે કહ્યું હતું કે કારગિલમાં યુદ્ધ લડનારા ઘણા જવાનો અપરિણીત હતા, કોઈના લગ્ન થવાના હતા તો કોઈ પોતાના પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો હતો. પરંતું તેમણે પોતાના પ્રાણની પરવા નહોતી કરી અને દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.


  • Follow us on: