પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના, CRPF અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં મોટાપાયે શોધખોળ અને ઘેરાબંધી અભિયાન શરૂ કરી દીધું છે. સર્ચ ઓપરેશન દિવસ-રાત ખૂબ જ સતર્કતા સાથે ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી હેઠળ અનંતનાગ જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા.
સુરક્ષા દળોએ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન કર્યુ શરૂ
અત્યાર સુધીમાં લગભગ 175 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતા નેટવર્કને તોડી પાડવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અનંતનાગ પોલીસે જણાવ્યું હતું કે અમે કોઈપણ સંભવિત આતંકવાદી હાજરીને દૂર કરવા અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે અમારા ભાગીદાર સુરક્ષા દળો સાથે મળીને કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. અનંતનાગ પોલીસ જિલ્લામાં શાંતિ જાળવવા અને સામાન્ય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
લોકોને શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવા અપીલ
સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વધારવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની મોબાઈલ વાહન ચેક પોસ્ટ્સ (MVCPs) સ્થાપિત કરવામાં આવી છે. જાહેર સહયોગ માગવામાં આવી રહ્યો છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામના બૈસરન મેદાનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સુરક્ષા દળોએ પોતાની સતર્કતા વધારી દીધી છે. પોલીસે પેટ્રોલિંગ અને ઓચિંતા હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે, ખાસ કરીને ગાઢ જંગલ વિસ્તારોમાં જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે છે.