ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા દુકાનો પર દુકાનદારનું નામ લખવાનો આદેશ જારી કરાયો છે, તે હિમાચલપ્રદેશની કોંગ્રેસ સરકારને ગમી ગયો છે. હિમાચલપ્રદેશ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે તેમની સરકારે પણ આવો નિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
હિમાચલપ્રદેશના શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે યુપી સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ પણ આવો નિયમ સખતપણે લાગુ કરશે. તેમણે કહ્યું કે લોકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને એવું કરવામાં આવ્યું છે. વિક્રમાદિત્ય સિંહે બુધવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે ગઈ કાલે યુડી (શહેરી વિકાસ) અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક કરી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જેટલા સ્ટ્રીટવેન્ડર્સ છે, જે ખાસ કરીને ખાણીપીણીના સામાનનું વેચાણ કરે છે, કોઈ મોમોઝ વેચે છે, કોઈ નૂડલ્સ, તેમના પર અમારે બંને રીતે એક્શન લેવાં જોઈએ, અને હાઇજેનિક ખાદ્ય વેચાવા જોઈએ. વિક્રમાદિત્યે કહ્યું કે, લોકોએ ઘણી ચિંતા વ્યક્ત કરી છે. તેને ધ્યાનમાં રાખીને જે રીતે યુપીમાં લારી-ફેરીવાળાઓ માટે નામ અને આઇડી ફરજિયાત કરાયાં તે રીતે અમારે કરવું પડશે. અમે પણ તેને સખતીથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.










