- મનીષ સિસોદિયાને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા
- કોર્ટે ભગવદ ગીતા, દવાઓ, ચશ્મા લઈ જવાની છૂટ આપી
- 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને સોમવારે એક્સાઇઝ પોલીસી કૌભાંડ કેસમાં 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયા તિહાર જેલની જેલ નંબર-1માં રહેશે. જ્યારે સતેન્દ્ર જૈન તિહારની જેલ નંબર 7માં છે. બંને જેલ વચ્ચેનું અંતર લગભગ 500 મીટર છે, પરંતુ વચ્ચે ઘણી સીમાઓ છે. CBIએ કોર્ટને કહ્યું કે તેને હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદિયાની કસ્ટડીની જરૂર નથી. સિસોદિયાને વિશેષ ન્યાયાધીશ એમ.કે નાગપાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
AAP નેતા મનીષ સિસોદિયાને પૂછપરછ માટે પહેલા પાંચ દિવસ અને બાદમાં બે દિવસ માટે CBI કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા. આ મુદત પૂરી થયા બાદ આજે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CBIના વકીલે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તપાસ એજન્સી હાલમાં AAP નેતાની કસ્ટડીની માંગ કરી રહી નથી, પરંતુ જો જરૂર પડશે તો પછીથી કસ્ટડી માંગી શકે છે. CBIએ AAP સમર્થકો પર કેસની 'રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો હતો.










