છેલ્લા 48 કલાકમાં આપણા દેશમાં એલોન મસ્કના સેટેલાઇટ ઈન્ટરનેટ વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતમાં પ્રવેશતા પહેલા દેશની કંપનીઓ સાથે કરારો પણ શરૂ થઈ ગયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે વિદેશી કંપની સામે ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા પહેલાં કડક શરતો મૂકી છે. હા, તેને પૂર પહેલાંની પાળ માની શકાય. કેન્દ્રએ સ્ટારલિંકને ભારતમાં કંટ્રોલ સેન્ટર સ્થાપવા કહ્યું છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી હોય ત્યારે અશાંત અને સંવેદનશીલ વિસ્તારોમાં સેવાઓ થોડા સમય માટે બંધ કરવી પડશે.
ઉપરાંત કંપનીને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સુરક્ષા સંસ્થાને સ્પષ્ટ પરવાનગી આપવી પડશે કે કાયદા અમલીકરણ એજન્સીઓ જ્યારે ઇચ્છે ત્યારે સત્તાવાર ચેનલો દ્વારા કૉલ્સને અટકાવી શકશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સેટેલાઇટ કોમ્યુનિકેશન લાયસન્સ માટે સ્ટારલિંકની અરજી અંતિમ તબક્કામાં છે.
કેન્દ્ર માટે નિયંત્રણ મહત્વપૂર્ણ કેમ?
શું ભારતમાં કંટ્રોલ સેન્ટર હોવું જરૂરી છે? હા, તો કેમ? વાસ્તવમાં, જો દેશના કોઈપણ ભાગમાં અચાનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉભી થાય, તો સેટેલાઇટ દ્વારા પૂરી પાડવામાં આવતી સંચાર સેવાઓને તાત્કાલિક અસરથી સ્થગિત અને બંધ કરવાની પણ જરૂર પડી શકે છે. જ્યારે પણ આવી જરૂરિયાત અનુભવાય છે, ત્યારે અમારે તેમનો (સ્ટારલિંક) દરવાજો ખટખટાવવો પડશે અને યુએસમાં તેમના મુખ્યમથકનો સંપર્ક કરવો પડશે.' અહીં, ટેલિકોમ કાયદામાં એવી જોગવાઈઓ છે જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારને આપત્તિ વ્યવસ્થાપન સહિતની કોઈપણ કટોકટીની સ્થિતિમાં અથવા જાહેર સલામતીના હિતમાં કોઈપણ અધિકૃત સંસ્થા પાસેથી કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્ક પર 'અસ્થાયી નિયંત્રણ' લેવાની મંજૂરી આપે છે. આ સિવાય ઈન્ટરનેટ બંધ કરવાની પણ જોગવાઈઓ છે.
સીધો કોલ નહીં કરાય ટ્રાન્સફર
વધુમાં, સેટેલાઇટ કંપનીઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ સેટેલાઇટ નેટવર્ક દ્વારા સીધા કૉલ્સ ટ્રાન્સફર ન કરે. જેમ કે લેન્ડલાઈન અથવા હાલની મોબાઇલ ફોન સેવામાંથી આવતા કૉલ્સ. એટલે કે સીધા કોલને બદલે તેમને તેમના ઈન્ડિયા ગેટવે પર પાછા મોકલો અને પછી કોઈપણ પરંપરાગત સંચાર સેવા દ્વારા લેવામાં આવતી ચેનલનો ઉપયોગ કરો. ઉપરાંત ઈન્ટરસેપ્શનના મુદ્દે સૂત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે આ કંઈ નવું નથી. Jio, Airtel, Voda Idea માટે આવા નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે.