- રાજ્યપાલોને અંતરાત્માને ઢંઢોળવા કોર્ટની સલાહ
- ગવર્નરોને આકરા શબ્દોમાં કહ્યું - તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી
- રાજ્ય સરકારો દ્વારા મંજૂર કરાયેલાં બિલો લટકાવતા
રાજ્ય સરકારો દ્વારા પાસ કરવામાં આવેલા બિલો લટકાવતા રાજ્યપાલો સામે સુપ્રીમ કોર્ટે સોમવારે તીખા તેવર દર્શાવ્યા હતા. સામાન્ય રીતે રાજ્ય વિધાનસભામાં પાસ કરવામાં આવેલા બિલો અંતિમ મંજૂરી અને સહી માટે જે તે રાજ્યનાં ગવર્નરોને મોકલવામાં આવે છે. રાજ્યનાં સીએમ તેમજ રાજ્યપાલ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ ચાલતો હોય કે મતભેદો હોય તો રાજ્યપાલો આવા બિલો મંજૂર કરવાને બદલે તેને લટકાવતા હોય છે પરિણામે બિલનો અમલ કરી શકાતો નથી. સરવાળે જનતાને જ નુકસાન થાય છે. આથી આવા બિલો તાકીદે મંજૂર કરવા સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને તાકીદ કરી છે. કોર્ટે બિલો લટકાવવાને બદલે રાજ્યપાલોને પહેલા તેમનો અંતરાત્મા ઢંઢોળવાની અને આત્મ નિરીક્ષણ કરવાની સલાહ આપી છે. કોર્ટે રાજ્યપાલોને સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નથી. મામલો કોર્ટ સુધી પહોંચે તે પહેલા જ રાજ્યોનાં બિલો મંજૂર કરવા કોર્ટે રાજ્યપાલોને ફરમાન કર્યું છે. પંજાબ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનાં કેસમાં સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની બેન્ચે ઉપર મુજબ ટિપ્પણી કરી હતી. CJI નાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે પંજાબ વિધાનસભાએ પાસ કરેલા બિલો પર રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા પગલાંનો અપડેટ કરેલો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 10મીએ હાથ ધરવાનું નક્કી કર્યું છે. કોર્ટે કેરળ અને તામિલનાડુનાં આવા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યપાલોના વલણની બેન્ચ દ્વારા આકરી ટીકા










