• પંજાબના રાજ્યપાલે વિધાનસભા સત્રને ગણાવ્યુ ગેરબંધારણીય
  • રાજ્યપાલ પર રાજ્ય સરકારનો બિલ પાસ ન કર્યાનો આરોપ
  • પંજાબ સરકાર આ મામલે ગઇ છે સુપ્રિમ કોર્ટ
સુપ્રિમ કોર્ટે પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચે રાજકીય ઘર્ષણને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મામલે ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે પંજાબમાં જે થઈ રહ્યું છે તે અત્યંત ચિંતાજનક છે અને તે તેનાથી બિલકુલ ખુશ નથી. તમને જણાવી દઈએ કે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપી રહ્યા નથી.
મંજૂરી ન આપીને આગ સાથે રમી રહ્યા છો- SC
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે પંજાબ સરકાર અને રાજ્યપાલને કહ્યું કે આપણો દેશ નિશ્ચિત પરંપરાઓનું પાલન કરે છે અને તેનું પાલન કરવું જરૂરી છે. રાજ્યપાલની ટીકા કરતા ખંડપીઠે કહ્યું કે તેઓ બિલોને મંજૂરી ન આપીને આગ સાથે રમત રમી રહ્યા છે અને વિધાનસભા સત્ર બોલાવવાને ગેરબંધારણીય ગણાવ્યું. લોકશાહી હેઠળ મુખ્યમંત્રી અને રાજ્યપાલે સાથે મળીને કામ કરવું જોઈએ. બેન્ચે કહ્યું કે જો રાજ્યપાલને લાગે છે કે બિલ ખોટી રીતે પસાર કરવામાં આવ્યું છે, તો તેમણે બિલને વિધાનસભા અધ્યક્ષને પાછું મોકલવું જોઈએ. ખંડપીઠે રાજ્યપાલના વકીલને પૂછ્યું કે જો વિધાનસભાનું કોઇ સત્ર ગેરકાયદેસર જાહેર કરવામાં આવે તો ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલ બિલ ગેરકાયદે કેવી રીતે હોઈ શકે?
શું છે વિવાદ ?
પંજાબ સરકારે 19 અને 20 જૂને વિધાનસભાનું સત્ર બોલાવ્યું હતું. જેમાં એસજીપીસી સંશોધન બિલ, આરડીએફ ફંડ પેન્ડિંગ, યુનિવર્સિટી ચાન્સલર સંબંધી વિધેયક અને પંજાબ પોલીસ એક્ટ બિલ પાસ થયા. જો કે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતનું કહેવુ છે કે પંજાબ સરકાર દ્વારા જૂનમાં બોલાવાયેલું વિધાનસભાનું સત્ર ગેરબંધારણીય છે, તેથી આ સત્રમાં થયેલી કામગીરી પણ ગેરબંધારણીય છે. તેની સામે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સરકારનું કહેવું છે કે સત્ર હજુ મુલતવી રાખવામાં આવ્યું નથી તેથી સરકાર જ્યારે ઈચ્છે ત્યારે સત્ર બોલાવી શકે છે.
  • Follow us on: