- તમામ આરોપીઓ કોર્ટમાં ઓનલાઈન હાજર રહી શકશે
- સીબીઆઈએ તપાસ કરેલા આ કેસમાં હાઈકોર્ટે સ્પેશિયલ જજ નિયુક્ત કરવાના રહેશે
- કેસને મિઝોરમ ખસેડવા બચાવ પક્ષની માગણી
મણિપુર જાતીય હિંસાને લગતા 27 કેસ સુપ્રીમ કોર્ટ દ્વારા આસામની ગુવાહાટી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ તમામ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવેલા આ 27 કેસની ટ્રાયલ માટે એક કે તેથી વધુ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજની નિયુક્તિ કરવા ગુવાહાટી હાઈકોર્ટને આદેશ આપ્યો હતો. આ તમામ કેસના આરોપીઓ તેમજ સાક્ષીઓ રૂબરૂ હાજર રહીને કે મણિપુરમાં તેઓ જ્યાં હોય ત્યાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં ઓનલાઈન હાજર રહી શકશે. તેમણે ગુવાહાટીની કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા પ્રવાસ કરીને ગુવાહાટી આવવાની જરૂર રહેશે નહીં. મણિપુર સરકાર વતી દલીલો કરતા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સીબીઆઈએ તપાસ કરેલી તમામ કેસની ટ્રાયલ સુરક્ષાનાં કારણોસર આસામમાં ટ્રાન્સફર કરવામાં આવે. મણિપુરમાં આ કેસ ચલાવવામાં આવે તો કેટલાક જજિસ જે તે સંબંધિત સમુદાયનાં હોય તો તેનો કેસ પર પ્રભાવ પડી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી.
કેસને મિઝોરમ ખસેડવા બચાવ પક્ષની માગણી










