• છઠ પૂજા વિશેષ ટ્રેનના મુસાફરોને થયો અત્યંત કડવો અનુભવ
  • સહરસાથી દિલ્હી જતી ટ્રેન લોકો પાયલટ વગર દોઢ કલાક અટકી પડી 
  • ટ્રેન લેટ થતાં મુસાફરોએ મચાવ્યો હંગામો, બીજી ટ્રેન પણ અટકાવાઇ 

ઉત્તર પ્રદેશના બુઢવલ જંકશન પર એક ટ્રેન કલાકો સુધી ઉભી રહી કારણ કે તેને ચલાવતો લોકો પાઇલટ, આસિસ્ટન્ટ લોકો પાઇલટ અને ગાર્ડે એમ કહી દીધું કે તેમની ડયુટીનો સમય પૂરો થઈ ગયો છે. તે ગાડીને આગળ નહિ લઈ જાય. જાણવા મળી રહ્યું છે કે લોકો પાયલટનું આવું વર્તન જોઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત સમાચાર અનુસાર, બિહારના સહરસાથી દિલ્હી જતી છઠ પૂજા વિશેષ ટ્રેન (04021) બપોરે લગભગ 1.15 વાગ્યે બુઢવલ જંકશન પર પહોંચી હતી. અહીં આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર રોકાઈ હતી. જ્યાંથી માલગાડીએ પણ પસાર થવાનું હતું.

લોકોને તો પહેલા લાગ્યું કે માલગાડી પસાર થઈ રહી હતી એટલે તેમની ટ્રેન અટકી ગઈ હતી. પરંતુ, એક કલાક પછી પણ ટ્રેન ન ઉપાડી તો મુસાફરો ટ્રેન લેટ થવા પાછળનું કારણ પૂછ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ સહિત ગાર્ડ ટ્રેનને અટકાવીને ચાલ્યા ગયા છે અને તેમણે આમ કરવા પાછળનું કારણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમની ડયુટીનો સમય પૂરો થઈ ગયો છે એટલે જ તેમણે ટ્રેનને આગળ લઈ જવાથી ઇનકાર કરી દીધો હતો. આ ટ્રેનમાં અંદાજે 2,500 મુસાફરો હતા. આ મુસાફરો જંકશન પર ઉતરી ગયા અને તેમની ટ્રેનને તાત્કાલિક આગળ મોકલવાની માંગ કરવા લાગ્યા. પ્રદર્શન કરી રહેલા ગુસ્સે ભરાયેલા મુસાફરોએ પાછળથી આવતી બરૌની-લખનૌ એક્સપ્રેસ ટ્રેનને પણ રોકી દીધી હતી. પરંતુ, તે ટ્રેનના મુસાફરો પણ ફસાઈ ગયા કારણ કે તેના લોકો પાયલટનો ડ્યુટી સમય પણ પૂરો થઈ ગયો હતો.

લોકોના ભારે હલ્લાબોલ બાદ આ ટ્રેન દોઢ કલાક બાદ રવાના થઈ હતી. જે ટ્રેન અગાઉ રોકાઈ હતી તે 4 કલાક પછી 5:30 વાગ્યે રવાના થઈ શકી અને તે પણ ત્યારે જ્યારે ગોંડાથી નવો લોકો પાયલોટ આવ્યો. કલાકો સુધી જંકશન પર આ ટ્રેન ઉભી રહેવાના કારણે અહીં ખાણીપીણીના સામાનની પણ સમસ્યા સર્જાઈ હતી. નિયમો અનુસાર, એક લોકો પાઇલટને 12 કલાકની ડ્યુટી લેવામાં આવે છે. ત્યાર બાદ તે નેક્સ્ટ સ્ટેશન પર બીજા લોકો પાયલટને ટ્રેન ટ્રાન્સફર કરે છે. નવો લોકો પાઈલટ જે ટ્રેન મેળવે છે તે તેને આગળ લઈ જાય છે.

જો કે, એક લોકો પાઇલટ પોતાની ફરજના કલાકો પૂરા કર્યા પછી ટ્રેન છોડી શકતા નથી. જો નવો લોકો પાઈલટ ન આવે તો તેણે જ ટ્રેનને આગળ લઈ જવી પડે છે. જો કોઈ ટ્રેન કોઈ કારણ વગર અડધા કલાકથી વધુ સમય સુધી સ્ટેશન પર ઊભી રહે તો રેલવે બોર્ડ જવાબ માંગે છે. બુઢવલ સ્ટેશન પર આ ટ્રેનના સ્ટોપેજને કારણે અન્ય ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી. બુઢવલ સ્ટેશન ગોંડા-લખનૌ રેલ્વે બ્લોક પર આવેલું છે, અહીંથી એક રેલ લાઈન દિલ્હી તરફ જાય છે અને બીજી સીતાપુર જંકશન થઈને લખનૌ તરફ જાય છે.


  • Follow us on: