વન નેશન- વન ઈલેક્શનને લઈને સરકાર સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ત્રણ બિલ લાવશે જેમાંથી બે બંધારણીય સુધારા બિલ હશે. જો કે, સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટ સત્રમાં એ હજુ નક્કી નથી. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
વન નેશન- વન ઈલેક્શન
ઉલ્લેખનીય છે કે, મોદી કેબિનેટે વન નેશન- વન ઈલેક્શન પર રામનાથ કોવિંદની સમિતિની ભલામણોને સ્વીકારી હતી. સમિતિના રિપોર્ટમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. જ્યારે બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની કમિટીએ ભલામણ કરી છે.
આ બિલને 50 ટકા રાજ્યોના સમર્થનની જરૂર
પ્રસ્તાવિત બંધારણીય સુધારા બિલોમાંથી એક બિલ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને લોકસભા અને વિધાનસભાઓ સાથે જોડવાનું છે. આ બિલને ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોના સમર્થનની જરૂર છે.
લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ
પ્રસ્તાવિત પ્રથમ બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવાની જોગવાઈ છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રસ્તાવિત બિલમાં 'નિયત તારીખ' સંબંધિત પેટા-કલમ (1) ઉમેરવામાં આવશે અને કલમ 82Aમાં સુધારાની જોગવાઈ છે.
આ સાથે આ બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ પૂરો થવાની જોગવાઈ પણ છે. કલમ 82Aની પેટા-કલમ (2)માં સુધારાની જોગવાઈ હશે. કલમ 83(2)માં સુધારો કરવાની પણ જોગવાઈ છે. આ બિલમાં લોકસભાના કાર્યકાળ અને વિસર્જન સાથે સંબંધિત નવી પેટા-વિભાગો (3) અને (4)નો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવશે.
સરકાર બંધારણમાં સુધારા માટે બિલ લાવશે
આ બિલમાં એસેમ્બલીઓનું વિસર્જન અને કલમ 327માં સુધારો કરવામાં આવશે અને તેમાં "એક સાથે ચૂંટણી" શબ્દો સામેલ કરવામાં આવશે. જોકે, આ બિલને 50 ટકા રાજ્યોના સમર્થનની જરૂર નહીં પડે. જ્યારે બીજા સંવિધાન સંશોધન બિલને 50 ટકા રાજ્યોની વિધાનસભાઓના સમર્થનની જરૂર પડશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીની ભલામણ કરવામાં આવશે અને તેમાં સુધારાની પણ જરૂર છે.
ચૂંટણી પંચ અને રાજ્યની ચૂંટણીઓ બન્ને અલગ સંસ્થાઓ
બંધારણીય રીતે ચૂંટણી પંચ અને રાજ્યની ચૂંટણીઓ બન્ને અલગ સંસ્થાઓ છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, રાજ્યસભા, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને રાજ્ય વિધાન પરિષદોની ચૂંટણીઓનું સંચાલન કરે છે, જ્યારે રાજ્ય ચૂંટણી પંચ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કરે છે.
સરકારે રામનાથ કોવિંદ સમિતિની ભલામણ સ્વીકારી
પ્રસ્તાવિત બીજા બંધારણ સુધારા બિલમાં કલમ 324A ઉમેરવાની જોગવાઈ છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ તેમજ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એક સાથે યોજવાની જોગવાઈ છે. ત્રીજું બિલ એક સામાન્ય બીલ છે. આ બિલ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદાઓની જોગવાઈઓમાં સુધારો કરશે. આ એક સરળ બિલ છે અને તેને ન તો બંધારણમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે ન તો રાજ્યોના સમર્થનની. રામનાથ કોવિંદ સમિતિએ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે તાજેતરમાં આ ભલામણ સ્વીકારી છે.













