ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબૂ બહાર થતા બસ 1500 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. જેમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે મહિલા અને એક બાળક સહિત 4 લોકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે બસમાં કુલ 28 લોકો સવાર હતા જેમાંથી 24 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


આ દુર્ઘટના એવી જગ્યાએ બની હતી જ્યાં એક ઢોળાવવાળી ટેકરી છે. તેથી ઘાયલોને નીચેથી ઉપર લાવવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. આવી સ્થિતિમાં, બચાવકર્મીઓ ઘાયલોને દોરડાની મદદથી તેમના ખભા પર લાવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોટાભાગના ઘાયલોને સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી કેટલાક ઘાયલોને મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમની સ્થિતિ ગંભીર હતી. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અકસ્માતની ગંભીરતાને જોતા એક તરફ સુશીલ તિવારી હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી છે, તો બીજી તરફ હલ્દવાનીથી 15 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

એસપી સિટી નૈનીતાલ ડૉ. જગદીશ ચંદ્રાના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રોમાં મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 24 મુસાફરોને બચાવ્યા છે. બીજી તરફ બાણભૂલપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નીરજ ભાકુનીએ ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપ્યો છે. તેણે લખ્યું છે કે તે તમામ મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરશે.

બસ હલદ્વાની  ડેપોની 
મળતી માહિતી મુજબ જે બસમાં અકસ્માત થયો તે હલ્દવાની ડેપોની છે. આ બસ દરરોજ સવારે 7.30 કલાકે હલ્દવાનીથી પિથોરાગઢ માટે નીકળે છે અને ત્યાં રાત રોકાયા બાદ બીજા દિવસે સવારે 6 વાગે હલ્દવાની પરત આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બસ ડ્રાઈવર રમેશ ચંદ્ર પાંડે અને કંડક્ટર ગિરીશ દાની પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતાં જ એઆરએમ સંજય પાંડે અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

  • Follow us on: