પતરાલી એ વિશ્વનો સૌથી અનોખો અને અદ્ભુત શાકનો થાળ ગણાય છે. કૃષ્ણ જન્માષ્ટમી પછીના દિવસે યોજાતા 'નંદ મહોત્સવ'ના પાવન અવસરે વૈષ્ણવ મંદિરોમાં ઠાકોરજીને રાજભોગ તરીકે આ વિશિષ્ટ ભોગ અર્પણ કરવામાં આવે છે. આ વાનગી વર્ષમાં માત્ર એક જ વાર તૈયાર કરવામાં આવે છે, જેમાં લગભગ 50 જેટલા વિવિધ પ્રકારના શાકભાજી અને 8 પ્રકારના ભજીયાંનો સમાવેશ થાય છે.
પતરાલીનો પૌરાણિક અને ઐતિહાસિક ઈતિહાસ
આ વાનગી પાછળ એક સુંદર પૌરાણિક કથા જોડાયેલી છે. જ્યારે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો, ત્યારે તેમના આગમનની ખુશીમાં ગોકુલના તમામ ગોવાળો માતા યશોદા અને નંદબાબા માટે પોતપોતાના ખેતરોમાંથી તાજા શાકભાજી ભેટ સ્વરૂપે લાવ્યા હતા. માતા યશોદાએ પ્રેમપૂર્વક આ તમામ શાકભાજીઓને એકસાથે ભેગા કરીને રાંધી લીધા અને બીજા દિવસે ભગવાનને તેનો ભોગ ધરાવ્યો. ત્યારથી આ પરંપરા 'નંદ મહોત્સવ'ના દિવસે પતરાલી ભોગ તરીકે ઉજવવામાં આવે છે. આ શાક બનાવવું બહુ સરળ છે. નોંધી લો તેની સરળ રેસીપી.
પતરાળી શાકની સામગ્રી
500 ગ્રામ મિક્સ શાકભાજી, 250 ગ્રામ મિક્સ લીલી ભાજી, 1 નંગ ટામેટું, 1 ટેબલ સ્પૂન આદુ-મરચાં ની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર, 1 ટેબલ સ્પૂન ધાણાજીરા નો પાઉડર, 1/2 ટી સ્પૂન હળદર, 1/2 ટી સ્પૂન હીંગ, 1 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, 1 ટી સ્પૂન ખાંડ, 1/2 નંગ લીંબુ નો રસ, 1/2 ટી સ્પૂન જીરુ, કોથમીર ગાર્નીશિંગ માટે, તેલ જરૂરિયાત મુજબ
પતરાળી શાક બનાવવાની રીત
સૌપ્રથમ પતરાળીના તમામ શાકને ઝીણા સમારી લો અને ભાજીને ધોઈ ને કોરી કરી સમારી લેવા. ત્યારબાદ હવે એક કઢાઈ અથવા નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને હિંગ અને લીમડાનો વઘાર કરી લીલા શાકભાજી ઉમેરી દો. તેના પછી આદુ મરચાની પેસ્ટ મીઠું અને હળદર ઉમેરી બરોબર મિક્સ કરી ઉપર થાળીમાં પાણી મૂકી શાકને ચઢવા દેવું.શાક બધું ચડી જાય પછી તેમાં લીલી સમારેલી મીક્સ ભાજી અને સમારેલું ટામેટું ઉમેરી બધુ બરોબર મિક્સ કરી શાકને પાછુ ઢાંકી દેવું. પછી શાકમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી આ મસાલાને સાંતળી લેવો. પછી તેમાં લીંબૂ અને ખાંડ ઉમેરી મિક્સ કરી એક મિનિટ પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરવી.તૈયાર થઈ ગયું પતરાળીનું શાક.