ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકારે સિવિલ કોડ ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને સોંપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રાફ્ટ અંગે કમિટીની જાહેરાત કરી છે. દેસાઈ ઉપરાંત આ કમિટીમાં વધુ 4 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે.


ગુજરાત દેશનું બીજું રાજ્ય છે, જેણે UCC ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. રસપ્રદ વાત એ છે કે, ઉત્તરાખંડમાં સિવિલ કોડ રિપોર્ટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એ જ નિવૃત્ત જજ રંજના દેસાઈ પર ગુજરાતે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પિતાના વિરોધ બાદ પણ કાનૂની વ્યવસાયમાં ડગ માંડનાર રંજના દેસાઇ કોણ?

રંજના દેસાઈનો જન્મ વર્ષ 1949માં મુંબઈમાં થયો હતો. દેસાઈએ 1970માં પ્રારંભિક શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી કર્યું હતું. બાદમાં તે સરકારી કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા આવી હતી. કાનૂની વ્યવસાયમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે પિતાએ તેનો વિરોધ કર્યાનું રંજનાએ એક મેગેઝીનમાં ઉલ્લેખ કરેલો છે. રંજનાના પિતા એસજી સામંત મુંબઈના તે સમયના પ્રખ્યાત વકીલ હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમની પુત્રી લંડનમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે. ઉપરાંત રંજનાના કહેવા પ્રમાણે તેના સસરાને પણ આ પ્રથા સામે વાંધો હતો. રંજના દેસાઈએ પ્રકાશ દેસાઈ સાથે લગ્ન કર્યા છે.

કારકિર્દી પર એક નજર.. 

1996માં રંજનાની મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. લગભગ 15 વર્ષ સુધી હાઈકોર્ટમાં કામ કર્યા બાદ 13મી સપ્ટેમ્બર 2011ના રોજ તેણીને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવ્યા હતા. કોલેજિયમે તેમના નામની ભલામણ કરી હતી. રંજના દેશની સર્વોચ્ચ અદાલતમાં માત્ર 3 વર્ષ જજ રહી શકી હતી. નિવૃત્તિ પછી રંજનાએ ઘણા આયોગ અને કમિશનનું નેતૃત્વ કર્યું છે. સીમાંકન અને UCC કમિશન તેમની વચ્ચે મુખ્ય છે. નવેમ્બર, 2017 સુધી વીજળી માટે એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરાઈ. ત્યારબાદ ઓકટોબર 2019 સુધી આવક વેરો વિભાગમાં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરવામાં આવી હતી.

તેમની માર્ચ 2020માં ભારતના સીમાંકન આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. 5 મે, 2022 સુધી સંભાળેલા આ પદના નેતૃત્વ હેઠળના કમિશને તેનો આદેશ પૂર્ણ કર્યો હતો અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ માટે અંતિમ સીમાંકન અહેવાલ સુપરત કર્યો હતો. લોકપાલના અધ્યક્ષ અને સભ્યોના હોદ્દા માટે નામોની ભલામણ કરવા માટે સર્ચ કમિટીના અધ્યક્ષ તરીકે ઉપરાંત 17મી જૂન, 2022 ના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા તેણીને PCIના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

પ્રથમ ફી 35 રૂપિયા મળી હતી

પિતાના વિરોધ પછી મેં મારા સંબંધીની ચેમ્બરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીં હું એક ક્લાયન્ટને મળી, જેમના પરિવારના સભ્યો લાંબા સમયથી જેલમાં હતા. તેને જામીનની સતત ચિંતા રહેતી હતી. તેણે મને કેસની ઓફર કરી. રંજનાના એક લેખમાં કહેવા મુજબ તેને આ કેસ માટે 35 રૂપિયા મળ્યા હતા. શરૂઆતમાં આ મામલો નીચલી અદાલતે ફગાવી દીધો હતો, ત્યારબાદ રંજના હાઈકોર્ટમાં પહોંચી હતી. જ્યાં રંજનાની દલીલ સાંભળ્યા બાદ જજે આરોપીને જામીન આપી દીધા હતા. રંજનાની કારકિર્દીની આ પ્રથમ મોટી જીત હતી.

સુપ્રીમ જજ તરીકે ઘણા મહત્વના નિર્ણયો આપ્યા

સુપ્રીમ કોર્ટમાં જજ રહીને રંજના દેસાઈએ ઘણા મહત્વના નિર્ણયો આપ્યા હતા. આમાં બ્લેક મની અને નિત્યાનંદના વીરતા પરીક્ષણ અંગેનો તેમનો નિર્ણય મુખ્ય છે. નિત્યાનંદે કાળા નાણાંને લઈને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. તે સમયે આ બંને નિર્ણયોની ખૂબ ચર્ચા થઈ હતી.રંજના દેસાઈએ એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ગુંડા એક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિને સતત 12 મહિના સુધી જેલમાં રાખી શકાય નહીં. રંજનાએ અન્ય એક નિર્ણયમાં કહ્યું હતું કે કોર્ટ પાસે કોઈપણ સમયે કોઈપણ સાક્ષીને બોલાવવાનો અધિકાર અને સત્તા છે. દેસાઈ એ બેંચનો પણ એક ભાગ હતા જેણે મુંબઈ હુમલાના દોષી અજમલ આમિર કસાબને તાત્કાલિક ફાંસી આપવાનો નિર્ણય આપ્યો હતો. દેસાઈ ઐતિહાસિક સહારા વિરુદ્ધ સેબી કેસની સુનાવણીમાં જજ પણ રહી ચૂક્યા છે.


  • Follow us on: