એક સમય હતો જ્યારે લાખો ભારતીયો રોજગારી અને જીવન માટે સંઘર્ષ કરતા હતા. છતાં, આજની સ્થિતિમાં મોટાભાગના રાજ્યો એ સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ શોધી લીધો છે. એપ્રિલ 2025માં વિશ્વ બેંક દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ અનુસાર, ભારતમાં ગરીબીની રેખા નીચે રહેતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વધુમાં, ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2025ના બુલેટિનમાં પણ આ માહિતીની પુષ્ટિ કરી છે કે 2011-12 થી 2022-23 દરમિયાન ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વિકાસમાં રસપ્રદ બાબત એ છે કે માત્ર વિકસિત રાજ્યો નહીં, પરંતુ ઘણા પછાત ગણાતા રાજ્યો પણ આ દોડમાં આગળ આવી રહ્યા છે. તો કયા રાજ્યો ગરીબીના નિવારણમાં સૌથી વધુ સફળ રહ્યાં છે, અને કયા હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યાં છે?
સૌથી ઝડપી ગરીબી ઘટાડાવાળા રાજ્ય કયા?
ગરીબી ઘટાડવાની દ્રષ્ટિએ આંધ્રપ્રદેશ આગળ છે. અહીં ગ્રામીણ વિસ્તારોમાં 90.6% અને શહેરી વિસ્તારોમાં 85.9% નો નોંધપાત્ર ઘટાડો થયો છે, જે દેશનો સૌથી ઊંચો દર છે. બીજું આશ્ચર્યજનક નામ છે બિહાર, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું સ્તર 2011-12માં 40.1% હતું, જે ઘટીને 2022-23માં માત્ર 5.9% થઈ ગયું છે – આ એટલે કે 85.3% નો ઘટાડો. શહેરી બિહારમાં પણ આવા જ પ્રવાહ સાથે, ગરીબી 50.8% થી ઘટીને 9.1% થઇ છે. આ વાસ્તવમાં ઉત્તર ભારતના અન્ય વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા વિકસિત રાજ્યો કરતાં પણ વધુ પ્રગતિ દર્શાવે છે.













