તાજેતરમાં આગ્રામાં બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી, જ્યાં એક સામાન્ય રેફ્રિજરેટરમાં બનેલા બરફના આકારને લોકોએ ચમત્કાર માનીને પૂજવાનું શરૂ કર્યું હતું. રેફ્રિજરેટરના ફ્રીઝરમાં બનેલો બરફનો આકાર અદ્દલ શિવલિંગ જેવો દેખાતો હોવાથી તેને 'અમરનાથના પવિત્ર શિવલિંગ' સાથે સરખાવીને ભક્તોની ભીડ ઉમટી પડી હતી. જોકે, વિજ્ઞાન અને ટેકનોલોજીની દૃષ્ટિએ જોઈએ તો આ કોઈ દૈવી ચમત્કાર નથી, પરંતુ 'ડાયરેક્ટ કૂલિંગ' ટેકનોલોજી ધરાવતા રેફ્રિજરેટરોમાં થતી એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે.

આ આકાર કેવી રીતે બને છે?

મોટાભાગના ડાયરેક્ટ-કૂલિંગ રેફ્રિજરેટરમાં 'ડિફ્રોસ્ટ' (બરફ ઓગાળવાની) સુવિધા આપમેળે હોતી નથી. આવા રેફ્રિજરેટરોને તેમની પાછળના ભાગમાં રહેલી કાળી જાળી દ્વારા સરળતાથી ઓળખી શકાય છે. આ પ્રકારના ફ્રીઝરમાં તાપમાન જાળવી રાખવા માટે કોમ્પ્રેસર સમયાંતરે બંધ અને ચાલુ થાય છે. જ્યારે કોમ્પ્રેસર બંધ થાય છે, ત્યારે ફ્રીઝરની ઉપરની સપાટી પર જામેલો થોડો બરફ ગરમીને કારણે પીગળે છે. આ પીગળેલું પાણી ટીપે-ટીપે નીચે તરફ ટપકે છે.

પ્રક્રિયાના સતત પુનરાવર્તનને કારણે શિવલિંગ બને છે

પરંતુ, ફ્રીઝરનું તાપમાન ખૂબ નીચું હોવાથી, આ ટપકતું પાણી નીચે પહોંચે તે પહેલાં જ ફરી થીજી જાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પાણીના ટીપાં એક પછી એક સ્તરમાં એકઠા થાય છે અને તે નીચે ફેલાવાને બદલે ઉપરની તરફ એક થાંભલા જેવો આકાર લે છે. આ પ્રક્રિયાના સતત પુનરાવર્તનને કારણે તે કુદરતી રીતે 'શિવલિંગ' જેવો ગોળાકાર અને ઉપરથી ઉપસેલો આકાર ધારણ કરે છે. આ એક શુદ્ધ ભૌતિક અને ટેકનિકલ ઘટના છે.

શું આ તમારા રેફ્રિજરેટર માટે સારું છે?

ઘણા લોકો માને છે કે આ આકાર શુભ છે, પરંતુ વાસ્તવમાં તે તમારા રેફ્રિજરેટર માટે નુકસાનકારક છે. ફ્રીઝરમાં બરફનો જાડો પડ જામવાથી રેફ્રિજરેટરની કાર્યક્ષમતા ઘટી જાય છે. બરફની જાડી પરત અંદરની ઠંડકને બહાર નીકળતી અટકાવે છે, જેના કારણે કોમ્પ્રેસરને ઠંડક જાળવી રાખવા માટે અતિશય ભારણ સાથે કામ કરવું પડે છે. આને કારણે વીજળીનું બિલ તો વધે જ છે, પણ લાંબા ગાળે કોમ્પ્રેસર બગડવાની શક્યતા પણ વધી જાય છે.

 ગેસ લીકેજ અથવા બ્લોકેજની સમસ્યા સર્જાઈ શકે

વધુ પડતો બરફ જમા થવાથી ફ્રીઝરની અંદર ગેસ લીકેજ અથવા બ્લોકેજની સમસ્યા સર્જાઈ શકે છે. આવા રેફ્રિજરેટરમાં મેન્યુઅલ ડિફ્રોસ્ટિંગ બટન આપવામાં આવે છે, જેનો ઉપયોગ નિયમિતપણે કરવો જોઈએ. જો તમે તમારા ફ્રીઝરમાં આવો આકાર જોતા હોવ, તો તેનો અર્થ એ છે કે તમારે તાત્કાલિક 'ડિફ્રોસ્ટ' બટન દબાવીને વધારાનો બરફ સાફ કરવાની જરૂર છે. આમ કરવાથી રેફ્રિજરેટર લાંબો સમય ચાલશે અને વીજળીની પણ બચત થશે. યાદ રાખો, વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ એક સાદી ટેકનિકલ પ્રક્રિયા છે, જેને અંધશ્રદ્ધા સાથે જોડવાને બદલે તેના યોગ્ય રખરખાવ પર ધ્યાન આપવું વધુ હિતાવહ છે.

આ પણ વાંચોઃ Butati Dham Mandir Donation Scam: રામ મંદિર બાદ હવે બૂટાટી ધામમાં કરોડોનું કૌભાંડ