શિયાળામાં ઠંડી વધતા ત્વચા પર અસર દેખાય છે. ચહેરાથી લઈને પગ સુધી ઠંડીના કારણે ત્વચા ફાટવાની સમસ્યા સૌથી વધુ લોકોમાં દેખાય છે. ઠંડીના દિવસોમાં ચહેરામાં નિસ્તેજપણું અને પગની એડી ફાટવાની સમસ્યાનો લોકો સૌથી વધુ શિકાર થાય છે. પગની એડીમાં તિરાડ પડવી એક સામાન્ય સમસ્યા હોવા છતાં ચાલવામાં મુશ્કેલી પડે છે. પગની એડીમાં તિરાડના કારણે કયારેક લોહી પણ નીકળે છે. આ સમસ્યા દૂર કરવા બજારના મોંઘા ક્રીમ અને લોશન લગાવે છે જે કામચલા ધોરણે રાહત આપે છે. પગની એડીમાં તિરાડની સમસ્યા દૂર કરવા તમને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીશું.


રાત્રિના સમયે કરો પગમાં આ ઉપચાર

ઠંડીમાં પગની સુંદરતા જાળવવા નાળિયેર તેલની માલિશ બેસ્ટ ઘરેલુ ઉપચાર છે. રાત્રે સૂતા પહેલા પગને હૂંફાળા પાણીથી ધોઈ પગની એડી પર નાળિયેર તેલની માલિશ કરો. આ તેલ ત્વચામાં શોષાઈ જશે, અને સવાર સુધીમાં તમારી એડીઓ નરમ રહેશે. આ તેલ ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ચેપ સામે રક્ષણ આપે છે. લીંબુના રસના થોડા ટીપાં એક ચમચી વેસેલિનમાં ભેળવીને ફાટેલી એડી પર લગાવો, હળવા હાથે માલિશ કરો. પછી, મોજાં પહેરો અને આખી રાત રહેવા દો. સવારે તમારા પગ ધોઈ લો અને ફાટેલી એડીમાંથી રાહત મેળવો.

દિવસ દરમિયાન રાખો પગની કાળજી

ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ ત્વચાને હાઇડ્રેટ કરવા માટે એક ઉત્તમ રીત છે. પગની ફાટેલી એડી પર તમે ગ્લિસરીન અને ગુલાબજળ દિવસ દરમિયાન 20 મિનિટ લગાવ્યા બાદ પાણીથી સાફ કરો. દરરોજ આ ઉપચાર કરવાથી એડીમાંથી તિરાડ દૂર થશે.  કેળા એક ઉત્તમ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. કેળામાં વિટામિન A, B6 અને C જેવા પોષકતત્વો ત્વચાને પોષણ આપે છે અને ફાટેલી એડી ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે. બપોરના સમયે આરામ કરતા હોવ ત્યારે એક પાકેલું કેળું લો, તેને સારી રીતે મસળી લો અને તેને ફાટેલી એડી પર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. શિયાળામાં પગની સુંદરતા જાળવવા આ ઉપચાર જરૂર ફાયદાકારક સાબિત થશે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

  • Follow us on: