નવરાત્રિ પર્વ હોય કે પછી એકાદશી લોકો ફરાળી ભોજન કરે છે. મોટાભાગે લોકો સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડા ખાય છે. પરંતુ આજે તમને ફરાળી વાનગીમાં એક સ્વાદિષ્ટ નાસ્તા વિશે જણાવીશું. આ નાસ્તો બનાવવામાં બહુ ઓછો સમય લાગશે. વર્કિંગ વુમન માટે આ ફરાળી નાસ્તો રાત્રિના ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. ઓછી સામગ્રીમાં ટેસ્ટી નાસ્તાનો આનંદ લેવો હોય તો ફરાળી ચાટ બેસ્ટ છે. બટાકા અને શક્કરીયમાંથી બનતી આ ચાટ બનાવવાની નોંધી લો રેસીપી.
ફરાળી ચાટ માટેની સામગ્રી
- 1 શક્કરિયા
- 1 બટેટા
- 1 ટામેટા
- 1 કેપ્સિકમ મરચું
- 1 કાચી કેરી
- 1/2 લીંબુનો રસ
- 1 ટેબલસ્પૂન દાડમના દાણા
- 1 ચમચી સિંગદાણાનો અધકચરો ભૂકો
- કોથમીરની ચટણી
ફરાળી ચાટ બનાવવાની રીત
સૌપ્રથમ બટાકા અને શક્કરિયાને ધોઈ નાખો. પછી બંને એકસાથે અથવા તો અલગ-અલગ કુકરમાં બાફી દો. તમારે વધુ સમય રાહ નહીં જોવી પડે. ફક્ત કુકરની 2 સીટી વાગે અને ગેસ સ્ટવ બંધ કરી દેવો. ત્યારબાદ કૂકર ખોલી એક વાસણમાં બટાકા અને શકક્કરીયાને કાઢો અને થોડા ઠંડા થવા દો. ત્યારબાદ બંનેની છાલ કાઢી લો. હવે નાના કેપ્સિકેમ મરચાં, કાચી કેરી, ટામેટા, બટેટા, શક્કરિયાને સાઈઝ પ્રમાણે નાના ટુકડા કરી લો. પછી એક મોટું વાસણ લો અને બધી સામગ્રી સાથે શિંગદાણાનો ભૂકો, દાડમના દાણા, ચાટ મસાલો, લીંબુનું મિશ્રણ ચમચી વડે ઉમેરો. બાઉલની અંદર આ તમામ સામગ્રી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં ઉપરથી થોડી કોથમીરની ચટણી ઉમેરો. તમે ફરાળી ચાટને સુંદર બનાવવા ઉપર થોડી કોથમીરથી સજાવી શકો છો. ફરાળી ચાટને વધુ ટેસ્ટી બનાવવી હોય તો તમે ફરાળી ચેવડો પણ ઉપયોગમાં લઈ શકો છો.










