અત્યારના સમયમાં મોસ્ટલી લોકોને સૌથી વધઆરે મોબાઈલ, લેપટોપ અને ટીવી સ્ક્રીન પર કામ કરવાની આદત હોય છે. સ્ક્રીન સામે લાંબા સમય સુધી બેસી રહેવાથી આંખો પર ભારે તાણ આવે છે. આ ઉપરાંત અસંતુલિત આહાર, પ્રદૂષણ, ધૂળ, તેજસ્વી સૂર્યપ્રકાશ અને વધતી ઉંમરની અસર પણ સીધી આપણી દ્રષ્ટિ પર પડે છે. નાની-મોટી આંખની સમસ્યાઓને અવગણવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે, તેથી સમયસર સાવચેતી રાખવી અનિવાર્ય છે.

લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે આ આદતો

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે કેટલીક ઉત્તમ દૈનિક આદતો અપનાવવી જોઈએ. જો તમે કમ્પ્યુટર કે લેપટોપ પર સતત કામ કરતા હોવ, તો થોડા સમયે આંખોને આરામ આપવો જરૂરી છે. તડકામાં બહાર નીકળતી વખતે યુવી કિરણોથી રક્ષણ આપતા સારા સનગ્લાસનો ઉપયોગ કરો. ધૂમ્રપાન સ્વાસ્થ્યની સાથે આંખો માટે પણ અત્યંત હાનિકારક છે, તેથી તેનાથી દૂર રહેવું. જો તમે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા હોવ તો તેની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને આંખોને સ્પર્શ કરતા પહેલા હંમેશા હાથ બરાબર ધોઈ લો. આ ઉપરાંત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોને નિયંત્રણમાં રાખવા પણ આંખના રક્ષણ માટે અત્યંત આવશ્યક છે.

સ્વસ્થ રાખવા વિશેષ આહાર મહત્વનો

આંખોની રોશની જાળવી રાખવા માટે આહારનું વિશેષ મહત્વ છે. તમારા ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, શક્કરીયા, નારંગી, માછલી, ઈંડા, બદામ અને અખરોટનો ભરપૂર ઉપયોગ કરો. આ ખોરાકમાં વિટામિન એ, સી, ઇ, ઓમેગા-3 ફેટી એસિડ, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા પોષક તત્વો હોય છે જે દ્રષ્ટિ સુધારે છે. શરીર અને આંખોમાં શુષ્કતા ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે.

ચેતવણીરૂપ સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવા

આંખો દ્વારા મળતા કેટલાક ચેતવણીરૂપ સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. અચાનક દેખાતું ઝાંખું પંણ, આંખમાં તીવ્ર દુખાવો, સતત લાલાશ કે સોજો, પ્રકાશની આસપાસ તેજસ્વી વર્તુળો દેખાવા, દ્રષ્ટિમાં અચાનક ઘટાડો થવો કે આંખ સામે કાળા ડાઘ કે દોરા દેખાય તો તરત ચેતી જવું જોઈએ. વારંવાર પાણી નીકળવું કે ચેપ લાગવો એ ગંભીર સમસ્યાના લક્ષણો હોઈ શકે છે. જો આવા કોઈ પણ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ધોરણે નિષ્ણાત આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ E-20 ઇથેનોલ નીતિને પંજાબના ખેડૂતોનું સમર્થન, આશીર્વાદરૂપ ગણાવી પોલિસી