મચ્છર કરડવાથી મુખ્યત્વે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ અને યલો તાવ જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ બીમારીથી બચવા ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અને શરીર ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરવા તેમજ ઘરમાં મચ્છરના સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. બજારમાં મચ્છર ભગાડનાર મળતી દવા શ્વાસ તેમજ એલર્જીના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું નિષ્ણાતો કહે છે. તમે કુદરતી ઘટકોમાંથી મચ્છર ભગાડનાર દવા ઘરે જ બનાવી શકો છો. તેમની તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.
કુદરતી રીતે મચ્છર ભગવાડવાની બનાવો દવા
- લીમડાના તેલનો પ્રયોગ કરી મચ્છર ભગાડી શકો. આ ચમત્કારીક તેલ બનાવવા લીમડાના તેલની સાથે નાળિયેરનું તેલ પણ લેવાનું રહેશે. આ તેલ બનાવવા માટે લીમડાના તેલ અને નાળિયેરના તેલને સરખા ભાગે મિક્સ કરો. તેને શરીર પર લગાવવાથી મચ્છર નજીક આવતા નથી.
- ઘરની અંદરથી મચ્છરોને દૂર રાખવા લવિંગ અને લીંબુ પણ અસરકારક છે. એક લીંબુને વચ્ચેથી કાપી લો. તેના પર ૭-૮ લવિંગ ખોસી દો. આવા લીંબુના ટુકડાને રૂમના ખૂણામાં રાખવાથી તેની ગંધથી મચ્છરો ભાગી જાય છે.
- કપૂરની તીવ્ર ગંધ મચ્છરોને બિલકુલ પસંદ નથી હોતી. એક વાટકીમાં પાણી લો અને તેમાં કપૂરની ૨-૩ ગોટીઓ નાખો. આ વાટકીને રૂમના એક ખૂણે મૂકી દો. અથવા રૂમની બારી-બારણાં બંધ કરી 15-20 મિનિટ માટે કપૂર સળગાવો, જેનાથી બધા મચ્છર મરી જશે કે બહાર નીકળી જશે.













