ભારતીય ભોજનમાં દાળ (કઠોળ) માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્યના પાવરહાઉસ તરીકે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ પ્રોટીનથી ભરપૂર આહારની વાત આવે છે, ત્યારે આપણા મગજમાં તુવેર (અરહર), ચણા અને મગની દાળના નામ સૌથી પહેલા આવે છે. પરંતુ લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે આ ત્રણેયમાંથી કઈ દાળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કાચી દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ રાંધ્યા પછી પાણી શોષાવાને કારણે તેનું પ્રમાણ બદલાય છે. હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ પ્રોટીન અને હેલ્થ માટે દૈનિક આહારમાં કઈ દાળ શ્રેષ્ઠ છે.

ત્રણેય દાળના વિશિષ્ટ ગુણો અને ફાયદા

મગની દાળ: પાચન માટે અમૃત માનવામાં આવે છે. માં 'દ્રાવ્ય ફાઇબર' (Soluble Fiber) વધુ હોય છે, જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. આના કારણે પેટમાં ભારેપણું કે ગેસ થતો નથી. આ દાળ બીમાર વ્યક્તિઓ, વજન ઘટાડવા (Weight Loss) માંગતા લોકો અથવા રાતના ભોજન માટે બેસ્ટ છે. એસિડિટીની સમસ્યામાં ડોકટરો મગની દાળની ખીચડી કે સૂપ પીવાની સલાહ આપે છે.

તુવેર દાળ : તુવેરની દાળ ભારતીય ઘરોમાં સૌથી વધુ ખવાતી દાળ છે, જે સ્વાદ અને પોષણનું અદ્ભુત મિશ્રણ છે. આ દાળ ન તો બહુ ભારે છે અને ન તો બહુ હળવી. તે શરીરને લાંબા સમય સુધી જરૂરી ઉર્જા પૂરી પાડે છે. જે લોકો દિવસભર સખત કામ કરે છે અને સતત એનર્જીની જરૂર હોય છે, તેમના દૈનિક આહાર માટે તુવેર દાળ એક સંતુલિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે.

ચણા દાળ: પ્રોટીનનું અસલી પાવરહાઉસ કહેવાય છે. જો તમારું એકમાત્ર લક્ષ્ય વધુમાં વધુ પ્રોટીન મેળવવાનું છે, તો ચણાની દાળ બાકીની દાળ કરતાં સહેજ આગળ છે. આ દાળ પચવામાં થોડો વધુ સમય લે છે, જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તે બ્લડ સુગર લેવલ સ્થિર રાખવામાં અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રમતવીરો (Athletes), ફિટનેસ ઉત્સાહીઓ અને જિમ જતા લોકો માટે આ દાળ ઉત્તમ છે. તેને પચવામાં સમય લાગતો હોવાથી રાત્રે ખાવાને બદલે દિવસના ભોજનમાં લેવી વધુ હિતાવહ છે.

દૈનિક આહાર માટે બેસ્ટ દાળ

વનસ્પતિજન્ય પ્રોટીન ક્યારેય સંપૂર્ણ પ્રોટીન હોતા નથી. તેથી, બધા જ આવશ્યક એમિનો એસિડ મેળવવા માટે દાળને હંમેશા ચોખા (ભાત) અથવા રોટલી સાથે મિક્સ કરીને ખાવી જોઈએ. શરીરને સંપૂર્ણ પોષણ અને વિવિધતા આપવા માટે આહારમાં ત્રણેય દાળને વારાફરતી સામેલ કરો. જો તમને ગેસ અને કબજીયાતની સમસ્યા હોય તો રાત્રિના સમયમાં તુવેર દાળ ખાવાનું ટાળો. મગની દાળ અને ચણાની દાળ તમે દિવસ અથવા રાત્રે કોઈપણ સમયે ખાઈ શકો છો. દૈનિક આહારમાં આ બંને દાળને સામેલ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને પેટની સમસ્યા પણ દૂર થાય છે. પરંતુ તેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી જ તમને તેના ફાયદા મળી શકે.