- કાચા કેળાના કોફ્તાનું શાક કરો ટ્રાય
- ગ્રેવીવાળા શાકના કારણે વધશે ભોજનનો ટેસ્ટ
- પરિવારના સભ્યોને પણ આ શાકથી મળશે ચેન્જ
શ્રાવણમાં અનેક શિવભક્તો શિવજીની આરાધના કરવા માટે ઉપવાસ કરે છે. આ સમયે જો તમે ફક્ત બટાકા ખાઈને કંટાળી જતા હોવ તો તમે આ ખાસ શાકને ફરાળી રોટલી સાથે ટ્રાય કરી શકો છો. તેને ખાઈને તમે પેટભરીને જમ્યાનો અનુભવ કરી શકશો. વ્રતમાં તમે બટાકાને બદલે કાચા કેળાનો ઉપયોગ કરો. તેનાથી ટેસ્ટ અને હેલ્થ બંને સારી રહેશે. તો જાણો કાચા કેળાની મદદથી કેવી રીતે કોફ્તાનું ફરાળી શાક બનાવી શકાશે.
કેળાંના કોફ્તા
સામગ્રી
કોફ્તા માટે
-3 નંગ કાચા કેળા બાફેલા અને છૂંદો કરેલા
-2 નંગ બટાટા બાફેલા અને છૂંદો કરેલા
-1 ટીસ્પૂન આદુંની પેસ્ટ
-1 ટીસ્પૂન જીરૂં પાવડર
-3 ટીસ્પૂન ચણાનો લોટ
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે
ગ્રેવી માટે
-2 ટીસ્પૂન આદુની પેસ્ટ
-1/4 કપ ટામેટાંની પ્યોરી
-1 ટીસ્પૂન જીરૂં
-1 નંગ તમાલપત્ર
-2 ટીસ્પૂન જીરૂં પાવડર
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-1 ટીસ્પૂન હળદર
-2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1 ટીસ્પૂન ગરમ મસાલો
-1 ટીસ્પૂન રાજગરાનો લોટ
-1 કપ ગરમ પાણી
-2 ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદ અનુસાર
-કોથમીર સમારેલી
બનાવવાની રીત
સૌપ્રથમ તેલ સિવાયની કોફ્તા બનાવવા માટેની બધી જ સામગ્રી એક મિક્સિંગ બાઉલમાં બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાંથી કણક તૈયાર કરો. આ કણકના નાના-નાના બોલ બનાવો. હવે આ કોફ્તાને ગરમ તેલમાં મધ્યમ તાપે ડિપ ફ્રાય કરી લો. કોફ્તા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. હવે આ કોફ્તાને એક પ્લેટમાં કાઢીને એકબાજુ મૂકી દો.
હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરૂં અને તમાલપત્ર ઉમેરો. થોડીક સેકન્ડ માટે સાંતળો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરૂં પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને 3થી 4 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરીને બરાબર મિક્સ કરીને બીજી 5 મિનિટ માટે ચઢવા દો.
હવે રાજગરાના લોટને ગરમ પાણીમાં ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે મિશ્રણને ગેસ પર ચઢી રહેલી ગ્રેવીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડી વાર પછી તેમાં તૈયાર કરેલા કેળાંના કોફ્તા ઉમેરો. બરાબર મિક્સ કરીને 4થી 5 મિનિટ માટે ચઢવા દો. ગેસ બંધ કરીને કોફ્તાને કોથમીરથી ગાર્નિશ કરો. ગરમા-ગરમ સબ્જીને સર્વ કરો.