• આ ચૂંટણી જેહાદ માટે મતદાન કરનારા અને વિકાસને પ્રાથમિકતા આપી રહેલા લોકો વચ્ચે છે

  • શરદ પવાર અને કોંગ્રેસની વોટબેન્ક હવે ઉદ્ધવની નવી વોટબેન્ક બની ગઈ છે
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને નિશાન પર લીધા

 કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને નિશાન પર લીધા હતા. વોટબેન્કના રાજકારણને કારણે નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) પ્રતિબંધ જેવા મુદ્દે જવાબ ના આપવા બદલ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા.

અમિત શાહે સાંગલીમાં સભાને સંબોધતાં કહ્યું કે શરદ પવાર અને કોંગ્રેસની વોટબેન્ક હવે ઉદ્ધવ ઠાકરેની નવી વોટબેન્ક બની ગઈ છે.'હું નકલી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગું છું કે મહારાષ્ટ્રના લોકો સમક્ષ તમારે સ્પષ્ટતા કરવી જોઈએ કે સીએએનો અમલ થવો જોઈએ કે નહીં ? પીએફઆઇ પર પ્રતિબંધ લાગવો જોઈએ કે નહીં ? રામમંદિરનું નિર્માણ સારી વાત છે કે ખરાબ વાત છે? ઉદ્ધવ આ પ્રશ્નનો જવાબ નહીં આપે કારણ કે તેમને હવે નવી વોટબેન્કનો ડર છે. શરદ પવાર અને કોંગ્રેસની વોટબેન્ક હવે તેમની વોટબેન્ક બની રહી છે.'

કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણી જે લોકો જેહાદ માટે મતદાન કરે છે અને જે લોકો વિકાસને પ્રાથમિકતા આપી રહ્યા છે તેમની વચ્ચેનો જંગ છે. 'દેશ આજે બે છાવણીમાં વહેંચાયેલો છે. પ્રથમ છાવણી કે જે રામમંદિરની વિરોધી છે. બીજી છાવણી તે એનડીએ અને મોદીજીની છે. આ છાવણી રામમંદિર બનાવવા માંગતી હતી. એક તરફ જે લોકો જેહાદ માટે મત આપતા હતા તે છે અને બીજી છાવણીમાં વિકાસને પ્રાથમિકતા આપી રહેલા લોકો છે. એક છાવણીમાં એવા લોકો છે કે જે લોકો પોતાના પરિવારનું કલ્યાણ ઇચ્છે છે, બીજી તરફ દેશના કલ્યાણ માટે કામ કરી રહેલા લોકો છે.'


  • Follow us on: