મેમનગરના જૈન ઉપાશ્રય પાસેની ખુલ્લી જગ્યામાંથી કપાયેલો માનવ પગ મળ્યો
। અમદાવાદ ।
સોલા રોડ પરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ સ્કૂલ પાસે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય નજીકની ખુલ્લી વેરાન જગ્યામાંથી કપાયેલો માનવ પગ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કોઈની હત્યા કરી લાશના ટુકડા ખેતરમાં ફેકયાની ચર્ચાએ જોર પકડયુ હતુ. ઘાટલોડિયા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લેવાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં કપાયેલા પગ પર સર્જીકલ કટિંગના નિશાન મળ્યા છે. આમ કોઈ વૃધ્ધ વ્યક્તિનો પગ ઓપરેશન કરી કાપી નાંખ્યા બાદ હોસ્પિટલ સ્ટાફે ખુલ્લી જગ્યામાં ફેકયાનું અનુમાન થઈ રહ્યું છે. ઘાટલોડિયા પોલીસને કપાયેલો માનવ પગ મળ્યાનો મેસેજ મળતા બપોરે સ્થળ પર પોલીસ ટીમ પહોંચી હતી. પોલીસ તપાસમાં પ્લાસ્ટિકના કોથળામાં કપાયેલો માનવ પગ અને મીઠું હતું. પોલીસે આ અંગે કપાયેલો માનવ પગ મળ્યાની નોંધ કરી હતી. પોલીસે એફએસએલના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા.એફએસએલના પ્રાથમિક અભિપ્રાય મુજબ કપાયેલો પગ ઓપરેશન કરી છૂટો કરાયો હતો. ટીમને કપાયેલા પગ પર સર્જીકલ કટ માર્ક મળ્યા હતા. ઘાટલોડિયા પોલીસે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિનું નજીકની હોસ્પિટલમાં ઓપરેશન કરી પગ છૂટો કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે ખેતરમાં ફેંકી દીધાનું લાગે છે.
અસામાજિક તત્ત્વોનો ડર, પોલીસ પોઇન્ટ મૂકવા સ્થાનિકોની માંગ
આ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલ તેમજ શાળાઓ આવેલી છે. અવારનવાર વેરાન જગ્યામાં અસામાજિક પ્રવુર્તીઓ થતી હોવાની લોકોની ફ્રિયાદ છે.અહીં સિનિયર સિટીઝનો પણ મોટા પ્રમાણમાં રહે છે. લોકોની સુરક્ષા હેતુથી આ સ્થળે કાયમી પોલીસ પોઇન્ટ મુકાય તેવી માંગણી લોકોની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન