- ખાલિસ્તાન મૂવમેન્ટનો ચહેરો બની ગયેલો વારિસ પંજાબ દે સંગઠનનો વડો અમૃતપાલ આખરે ગિરફતાર થયો છે. અલબત્ત, વાત આટલું થવાથી પૂરી થઇ જવાની નથી. ખાલિસ્તાનના મૂળિયા નાબુદ કરવા પડશે!
- પંજાબમાં દરેક શહેરથી માંડીને નાના નાના ગામોમાં પણ ખાલિસ્તાનનું સ્લીપર સેલ એક્ટિવ છે. દુનિયાના અનેક દેશોમાં ખાલિસ્તાનીઓ સક્રિય થઇ ગયા છે. અમેરિકાના ગુરપતવંતસિંહને ચૂપ કરાવવાની તાતી આવશ્યકતા છે!
પંજાબમાં સુષુપ્ત થઇ ગયેલી ખાલિસ્તાની ગતિવિધિઓને ફરીથી જીવતી કરી દેનાર વારિસ પંજાબ દે સંગઠનનો વડો અમૃતપાલ સિંહ આખરે પકડાયો છે. 36 દિવસથી અમૃતપાલ પોલીસને ગોળ ગોળ ફેરવતો હતો. હજુ પણ વાત તો એવી જ છે કે, અમૃતપાલ ઝડપાયો નથી પણ સરન્ડર થયો છે. ત્રણ દિવસ અગાઉ અમૃતપાલની પત્ની કિરણદીપને અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી. અમૃતપાલને હાજર કરવાની શરતે જ કિરણદીપને છોડવામાં આવી હતી? જે હોય તે પણ આખરે અમૃતપાલ પોલીસના કબજામાં આવી ગયો છે. અમૃતપાલને પોલીસે રોડે ગામથી પકડ્યો છે. જનરલસિંહ ભિંદરાવાલે પણ આ ગામનો જ હતો. ખાલિસ્તાનીઓએ અમૃતપાલને બીજા ભિંદરાવાલે તરીકે જ પેશ કર્યો છે. અમૃતપાલના દેખાવથી માંડીને એની ભાષામાં પણ ભિંદરાવાલેનો ટચ જોવા મળે છે. આ બધું એમ જ નથી થયું, વેલ પ્લાન્ડ કાવતરાનો એક ભાગ જ છે. અમૃતપાલ ગુરૂદ્વારામાંથી પકડાયો છે. એ જ્યારે પકડાયો ત્યારે ભિંદરાવાલેનો ભત્રીજો અને અકાલ તખ્તનો ભૂતપૂર્વ જથ્થેદાર જસબીરસિંહ પણ હાજર હતો. પોલીસ અમૃતપાલને લેવા પહોંચી એ પહેલા અમૃતપાલે ગુરૂદ્વારાના ગ્રંથી પાસેથી શીખોના પાંચ કકાર કેશ, કંધા, કડા, કિરપાણ અને કચ્છા ધારણ કર્યા હતા અને લોકોને સંબોધન પણ કર્યું હતું. બધું પતાવીને તે ગુરૂદ્વારાની બહાર નીકળ્યો હતો અને પોલીસે તેને ગિરફતાર કર્યો હતો. ભિંદરાવાલેના ગામેથી પોલીસ તેને ભટિંડા એરપોર્ટ લઇ ગઇ અને ત્યાંથી બાય એર તેને આસામની દિબ્રુગઢ જેલમાં લઇ જવામાં આવ્યો છે. અમૃતપાલની ગિરફતારીથી વાત પૂરી થઇ જતી નથી. ખરી વાત તો હવે શરૂ થાય છે. અમૃતપાલે ખાલિસ્તાન મૂવમેન્ટને હવા આપી દીધી છે. ખાલિસ્તાનીઓ ફરીથી જોમમાં આવી ગયા છે. બધાં એવું માને છે કે, નવો ભિંદરાવાલે પેદા થઇ ગયો છે અને હવે બધું નવેસરથી ચાલુ થવાનું છે. અમૃતપાલે જ્યાં જ્યાં સળગાવ્યું છે ત્યાં સુધી પહોંચીને સુરક્ષા દળોએ ઠારવું પડશે. ખાલિસ્તાનીઓના મૂળિયા જ્યાં સુધી ઉખેડી નાખવામાં નહીં આવે ત્યાં સુધી કોઇને કોઇ રીતે ખાલિસ્તાનીઓ માથું ઊંચકતા રહેવાના છે.
અમૃતપાલને પંજાબમાં રાખવો જોખમી હતો એટલે જ તેને આસામ લઇ જવાયો છે. તારીખ 18મી માર્ચે પોતાના સાથીઓને પોલીસના કબજામાંથી છોડાવવા માટે અમૃતપાલે અજનાલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. આ કેસમાં જેટલા પકડાયા છે એ બધાને આસામ શિફ્ટ કરાયા છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવતો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંતસિંહ પન્નુએ ત્યાંથી આસામના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ આસામના વડા પરેશ બરૂઆને એક ખુલ્લો પત્ર લખીને કહ્યું કે, અમારા જે ખાલિસ્તાનીઓને આસામ લવાયા છે એને મદદ કરો!ઉલ્ફાને પન્નુએ કહ્યું કે, અમે જેમ ખાલિસ્તાન માટે દુનિયાના દેશોમાં જનમત સંગ્રહ કરાવ્યો છે એવો તમે પણ કરાવો, અમે તમને મદદ કરીશું. પન્નુએ તો પાકિસ્તાનને પણ કહ્યું હતું કે, ભારત સરકાર સામે લડવામાં અમને મદદ કરો. ભવિષ્યમાં ખાલિસ્તાન તમારું પડોશી બનવાનું છે. પડોશીઓ સાથે સારા સંબંધો હોય એ જરૂરી છે!પાકિસ્તાન આમ તો ખાલિસ્તાનીઓને તમામ પ્રકારની મદદ કરતું જ રહ્યું છે. પાકિસ્તાન ડ્રોન મારફતે ખાલિસ્તાનીઓને હથિયારો મોકલે છે અને આતંકવાદીઓને તમામ પ્રકારની તાલીમ પણ આપે છે. કાશ્મીર બાદ પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓને વકરાવવાના ઇરાદા પાકિસ્તાનના છે.










