- ઇઝરાયેલની મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને કહ્યું કે, અમેરિકાએ 9/11 પછી જે ભૂલો કરી હતી એવી ભૂલો તમારાથી ન થાય એનું ધ્યાન રાખજો. આખરે બાઇડેને આવું કેમ કહ્યું?
- ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ જે રીતે લડી રહ્યા છે એનાથી દુશ્મનાવટ વધવાની જ છે. હમાસનો નાશ થશે તો બીજું કોઇ બેઠું થશે. યુદ્ધ જેટલું લંબાશે એટલી જ ખાઇ વધુ પહોળી અને ખતરનાક થવાની છે!
ગુસ્સામાં હોવ ત્યારે કોઇ નિર્ણય ન કરવો અને ખૂબ ખુશ હોવ ત્યારે કોઇ પ્રોમિસ ન આપવું, આ વાક્ય તમે સોશિયલ મીડિયા પર કે બીજે ક્યાંય વાંચ્યું કે સાંભળ્યું હશે જ. ગુસ્સા વિશે એવું કહેવામાં આવે છે કે, ક્રોધ બુદ્ધિનો ચારો ચરી જાય છે. ગુસ્સામાં માણસ ક્યારેય સાચો નિર્ણય કરી શકતો નથી. હમાસને નેસ્તનાબુદ કરવાની દાનતથી લડી રહેવા ઇઝરાયેલને અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને કહ્યું કે, નાઇન ઇલેવનની ઘટના પછી અમેરિકાએ જે ભૂલો કરી એવી ભૂલો તમારાથી ન થઇ જાય એનું ધ્યાન રાખજો. આ વાત બહુ સૂચક છે. અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે. એવું નથી કે, અમેરિકા ભૂલો નથી કરતું, અમેરિકાએ અસંખ્ય ભૂલો કરી છે. હા, અમેરિકા બહુ ઓછી ભૂલો સ્વીકારે છે. અમેરિકા તો એવો દેશ છે જે પોતાની ભૂલને પણ કોઇને કોઇ દલીલ કે તર્ક લગાવીને સાચી ઠેરવવાનો પ્રયાસ કરે છે. એક રીતે જોવા જઇએ તો પ્રેસિડેન્ટ બાઇડેને આવું કહીને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને ટોણો જ માર્યો છે કે, તમે ભૂલ કરી રહ્યા છો. બાઇડેન આવ્યા એ પહેલા જ તેમણે કહ્યું હતું કે, હમાસને ખાત્મો બોલાવો પણ ગાઝા પટ્ટી પર કબજાનો વિચાર માંડી વાળો. ગાઝા પર કબજાના ગંભીર પરિણામો આવશે. નેતન્યાહૂ કોઇની વાત માને એ વાતમાં માલ નથી. હમાસનો હુમલો ઇઝરાયેલથી સહન થયો નથી. નેતન્યાહૂ ગુસ્સામાં છે. જ્ઞાની લોકો કહી ગયા છે કે, સંકટના સમયે શાંતિથી અને સ્વસ્થ ચિત્તે વિચારવું જોઇએ. અતિ ગંભીર પરિસ્થિતિમાં ત્યારે જ સારી રીતે વિચારી શકાય જો મન શાંત હોય. ઉતાવળે કરાયેલો નિર્ણય પતન નોતરતો હોય છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેન ઇઝરાયેલ જઇને કહી આવ્યા કે, અમે તમારી સાથે છીએ. બે નેતાઓ જ્યારે યુદ્ધની સ્થિતિની ચર્ચા કરવા મળ્યા હોય ત્યારે તેની બધી વાતો બહાર આવતી નથી. ખરેખર બાઇડેને નેતન્યાહૂને શું સલાહ આપી એ કોઇને ખબર પડવાની નથી. અંદરખાને તો એવી જ વાત છે કે, બાઇડેને યુદ્ધ રોકવા અને ગાઝા પર કબજાનો વિચાર માંડી વાળવા કહ્યું હતું. બાઇડેન અમેરિકાની જે ભૂલોની વાત કરી એ ભૂલો કઇ છે? બાઇડેને કોઇ ફોડ નથી પાડ્યો પણ બધા સારી રીતે જાણે છે કે, એ ભૂલ અફઘાનિસ્તાન પર હુમલા અને કબજાની હતી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદીઓએ વિમાન હાઇજેક કરીને અકલ્પનીય હુમલો કર્યો હતો. તારીખ 11મી સપ્ટેમ્બર, 2001નો એ દિવસ હતો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર જોતજોતામાં કડડભૂસ થઇ ગયા હતા. ત્રણ હજાર લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. સમગ્ર વિશ્વએ આ ઘટના ટીવી પર લાઇવ જોઇ હતી. પોતાની સુરક્ષાના બણગાં ફૂંકતું અમેરિકા કંઇ કરી શક્યું નહોતું. અમેરિકાએ તરત જ આ ઘટનાનો બદલો લેવાનું નક્કી કરી નાખ્યું હતું. અલકાયદાએ આ હુમલાનું પ્લાનિંગ અફઘાનિસ્તાનની ધરતી પરથી કર્યું હતું. એ સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ હતું. તાલિબાનોએ પણ આ હુમલા માટે અલકાયદાને સાથ આપ્યો હતો એવું માનવામાં આવે છે. અમેરિકાએ વોર અગેઇન્સ્ટ ટેરિરઝમ ડિકલેર કરીને પોતાના સાથી દેશોની સેના સાથે અફઘાનિસ્તાન પર હુમલો કરી દીધો હતો. અમેરિકા સામે ટકવાનું તાલિબાનોનું કોઇ ગજું હતું જ નહીં. અમેરિકાએ તાલિબાનોને ખદેડી મૂક્યા અને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. અમે તો અહીં લોકોને તાલિબાનોના આતંકથી મુક્ત કરવા માટે અને લોકશાહીનું સ્થાપન કરવા માટે આવ્યા છીએ એવું કહીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ચૂંટણીઓ કરાવી. થોડો સમય તો એવું લાગ્યું કે, બધું બરાબર થઇ રહ્યું છે પણ બાદમાં પરિસ્થિતિ પલ્ટી ગઇ.










