• ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા તણાવ વચ્ચે કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખ્ખાની સરાજાહેર હત્યા થઇ છે. કેનેડા આતંકવાદીઓ ઉપરાંત ખૂંખાર માફિયાઓનું પણ આશ્રયસ્થાન બની ગયું છે!
  • કેનેડાથી ગેંગો ઓપરેટ કરનાર મોટા ભાગના ગેંગસ્ટરો પણ પંજાબી છે. સૌથી ખતરનાક વાત એ છે કે, હવે આતંકવાદીઓ અને માફિયાઓ સાથે મળીને કામ કરવા લાગ્યા છે. કેનેડાની ડ્રગ સિન્ડિકેટ સમગ્ર વિશ્વ માટે જોખમી છે

ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. જે સ્થિતિ પેદા થઇ રહી છે એ ચિંતાજનક છે. કેનેડાએ એડવાઇઝરી જાહેર કરીને પોતાના દેશના લોકોને ભારતના કાશ્મીર, મણિપુર અને આસામ ફરવા ન જવાનું કહ્યું. આપણા દેશે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું જ સ્થગિત કરી દીધું છે. આ ઉપરાંત આપણા દેશે એડવાઇઝરી રીલિઝ કરીને કેનેડામાં રહેતા લોકોને સલામત અને સાવચેત રહેવા કહ્યું છે. આપણી સરકારે કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઇમ વધી શકે છે. ભારતની એડવાઇઝરી પાછળ લોજિક છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આતંકવાદને ભડકાવવાના પ્રયાસ કરનાર શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુએ ખુલ્લેઆમ એવું કહ્યું કે, કેનેડામાં રહેતા હિન્દુઓ ભારત ચાલ્યા જાય! પન્નુની આ ધમકી પછી કેનેડામાં રહેતા હિંદુ વેપારીઓ, કર્મચારીઓ, સ્ટુડન્ટસ અને હિંદુ મંદિરો પર હુમલા થઇ શકે છે. ભારતે જેવી આ વાત કરી કે તરત જ કેનેડા બચાવમાં ઉતરી આવ્યું અને કહ્યું કે, કેનેડામાં બધા સલામત છે. આ દરમિયાનમાં કેનેડામાં ભારતથી ભાગી ગયેલા આપણા દેશના મોસ્ટ વોન્ડેડ ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખ્ખા દુનકેની હત્યા થઇ છે. લોરેન્સ બિશ્નોઇની ગેંગના શાર્પ શૂટરોએ સુખ્ખાને પંદર ગોળીઓ ધરબી દીધી હતી. બે દેશ વચ્ચે જ્યારે ટેન્શન સર્જાય ત્યારે ઘણા ગેંગસ્ટરો પોતાના કામ પાર પાડી દેતા હોય છે. કેનેડા વિશે એવું કહેવાઇ રહ્યું છે કે, હજુ તો આ શરૂઆત છે. આગામી દિવસોમાં આવી બીજી ઘટનાઓ પણ બની શકે છે. કેનેડા જે ભૂલો કરી રહ્યું છે એ તેણે ભોગવવી પડશે.

કેનેડામાં જેની હત્યા થઇ એ ગેંગસ્ટર સુખ્ખા દેવિંદર બાંબિહા ગેંગનો સભ્ય હતો. ભારતમાં તેના નામે અનેક ગુનાઓ ચડેલા છે. ભારતમાં રહેવું તેના માટે અઘરું થઇ ગયું હતું એટલે સુખ્ખા ખોટા દસ્તાવેજો બનાવીને વાયા નેપાળ થઇ કેનેડા ભાગી ગયો હતો. સુખ્ખા ટાર્ગેટ કિલિંગનો માસ્ટર હતો. કેનેડા જઇને પણ તેણે આવા કારનામા ચાલુ રાખ્યા હતા. આપણા દેશની સુરક્ષા સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ થોડા સમય અગાઉ વિદેશ ભાગી ગયેલા 41 મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં સુખ્ખાનું નામ પણ હતું. તેના નામે દસ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સુખ્ખા જેવા અને તેનાથી પણ ખતરનાક બીજા મૂળ ભારતીય ગેંગસ્ટરો પણ હજુ કેનેડામાં રહીને પોતાની ગેંગો ચલાવે છે. પંજાબમાં મોગા નામનું એક ગામ છે. સુખ્ખા મોગાનો હતો. કેનેડામાં રહેતો બીજો માફિયા ડોન અર્શદીપસિંહ ઉર્ફે અર્શ ડાલા પણ મૂળ મોગાનો છે. પંજાબના મોગામાં હજુ બે દિવસ પહેલા જ કોંગ્રેસના 45 વર્ષના નેતા બલજિંદરસિંહ બાલીની હત્યા થઇ હતી. કેનેડામાં બેઠા બેઠા ભારતીય ગેંગસ્ટરો પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ગુનાખોરી આચરતા રહે છે. કેનેડામાં રહેતા બરનાલાના ચરણજિતસિંહ ઉર્ફે રિંકુ બિહલા, મૂળ લુધિયાણાના ગુરપિંદરસિંહ ઉર્ફે બાબુ ડાલા, મૂળ તરનતારનના લખબીરસિંહ ઉર્ફે લાંડા, ફિરોઝપુરના મનદીપસિંહ ઉર્ફે રમન જજ, ફાજિલ્કાના સમતવીરસિંહ ઉર્ફે સેમ, અમૃતસરના સનોવર ઢિલ્લન સહિત અનેક ગેંગસ્ટર્સ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. આ બધાની ક્રાઇમ કરમકુંડળી સાથે આપણા દેશની સરકારે કેનેડાને અનેક ડોઝિયર આપ્યા છે પણ કેનેડાની સરકાર કંઇ કર્યું નથી. પંજાબમાં જેની કરપીણ હત્યા થઇ એ સિંગર સિદ્ધુ મૂસેવાલાને મરાવનાર ગોલ્ડી બરાર પણ કેનેડામાં રહે છે.

શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંતસિંહ પન્નુ અમેરિકામાં રહે છે પણ એના સૌથી વધુ આંટાફેરા કેનેડામાં જ હોય છે. અમેરિકા અને ભારત વચ્ચે સારા સંબંધો છે એટલે પન્નુને ડર છે કે, ક્યાંક ભારતના કહેવાથી અમેરિકાની સરકાર તેને અંદર ન કરી દે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે ગુરપતવંતસિંહ પન્નુ અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. પન્નુના ઇશારે અમેરિકા ઉપરાંત કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ખાલિસ્તાની એક્ટિવિટી ચાલતી રહે છે. પન્નુ સામે આપણા દેશમાં રાજદ્રોહના બે કેસ સહિત કુલ 22 કેસો નોંધાયેલા છે. પન્નુ અને તેના સંગઠન શીખ ફોર જસ્ટિસ પર આપણા દેશે પ્રતિબંધ લગાવ્યો છે. કેનેડાના હિંદુઓને પન્નુની ખુલ્લી ધમકી છતાં કેનેડાએ તેને હજુ સુધી એક શબ્દ પણ કહ્યો નથી! કેનેડાનો પંજાબી સિંગર શુભ પણ ખુલ્લેઆમ ખાલિસ્તાનને સપોર્ટ કરતો રહે છે. શુભે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં ભારતના નકશામાંથી કાશ્મીર અને પંજાબને અલગ થતા બતાવાયા છે. શુભે આવું કર્યું એ પછી તેની સામે પણ ભારતમાં રોષ છે. ક્રિકેટર વિરાટ કોહલી શુભને ફોલો કરતા હતા. શુભની આ પોસ્ટ પછી વિરાટ કોહલીએ તેને અનફોલો કરી નાખ્યો છે. આપણા દેશે કેનેડાને અનેકવાર કહ્યું છે કે, તમારે ત્યાં ખાલિસ્તાનને નામે જે ચાલી રહ્યું છે એ બંધ કરો.

કેનેડામાં ખાલિસ્તાન આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઇ હતી. તેના માટે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ ભારતને જવાબદાર ગણાવ્યું હતું. હવે કેનેડામાં થયેલી ગેંગસ્ટર સુખ્ખા દુનકેની હત્યા માટે જસ્ટિન ટ્રુડો શું કહેશે? કેનેડા ભલે ગુનેગારોને થાબડભાણાં કરે પણ એ બધા છેલ્લે તો તેના માટે જ મુશ્કેલી સર્જવાના છે. કેનેડામાં અત્યાર સુધી તો આતંકવાદીઓ પોતાની રીતે અને માફિયાઓ પોતાની સ્ટાઇલમાં કામ કરતા હતા. છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ બદલાઇ છે. હવે આતંકવાદીઓ અને માફિયાઓએ હાથ મિલાવ્યા છે અને એક-બીજાને મદદ કરી રહ્યા છે. હથિયારોની હેરાફેરીમાં માફિયાઓને સારી એવી ફાવટ છે. આતંકવાદીઓને હથિયારો પહોંચાડવાનું કામ ગેંગસ્ટરો કરે છે. આ વાત કેનેડાથી લંબાઇને છેક પંજાબના મોટા શહેરોથી માંડીને નાના નાના ગામો સુધી પહોંચે છે. પંજાબના દરેક ગામોમાં ખાલિસ્તાનીઓનું સ્લિપર સેલ એક્ટિવ છે. બીજી તરફ માફિયાઓનું નેટવર્ક પણ દરેક ગામોમાં પથરાયેલું છે. આ બંનેનું કોકટેલ વધુ જોખમી છે. પંજાબ ડ્રગ્સ માટે કુખ્યાત છે. કેનેડાની ડ્રગ કાર્ટેલ સમગ્ર વિશ્વમાં ડ્રગ પહોંચાડે છે. ભારતમાં જે ડ્રગ આવે છે એ પાકિસ્તાનથી પંજાબ બોર્ડરના રસ્તે આવે છે. ભારતથી આ ડ્રગ્સ દુનિયાના જુદા જુદા દેશોમાં પહોંચે છે. પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હથિયારો મોકલાયા હોય એવી અનેક ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં નોંધાઇ છે. આ હથિયારો પંજાબ સુધી પહોંચાડવામાં પણ કેનેડાના આતંકવાદીઓ અને માફિયાઓની ભૂમિકા રહી છે. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો વિશે જે વાતો બહાર આવી રહી છે એ એવું બતાવે છે કે, ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યા એ પહેલા જ તેની દાનત ઉહાપોહ પેદા કરવાની હતી. હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે ટ્રુડોએ અમેરિકા અને બ્રિટન સહિત કેટલાંક દેશો સાથે વાત પણ કરી હતી. અમેરિકા અને બ્રિટને તેને સાથ ન આપ્યો એટલે ટ્રુડોની બોલતી બંધ થઇ ગઇ હતી. ટ્રુડો જે ભારતમાં ન કરી શક્યા એ તેમણે કેનેડાની સંસદમાં નિવેદન આપીને કર્યું. કેનેડામાં એક પછી એક ઘટનાઓ બની રહી છે અને હજુ સ્થિતિ તો એવી જ છે કે, ગમે ત્યારે કંઇપણ થઇ શકે એમ છે!

  • Follow us on: