- ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર અપાયું હોવાના ખબરે હલચલ મચાવી છે. આ અગાઉ પણ દાઉદના મોતની અફવાઓ અનેકવાર ઉડી છે. શું સાચું અને શું ખોટું એ વિશે તર્કવિતર્કો થઇ રહ્યા છે!
- દાઉદ પાકિસ્તાનમાં છે એ આખી દુનિયા જાણે છે પણ પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહે છે. પાકિસ્તાન તો ઓસામા-બિન-લાદેન વિશે પણ એવું જ કહેતું હતું. પાકિસ્તાને દાઉદને બહુ છાવર્યો છે. ભારતના ઘણા દુશ્મનોને પાકિસ્તાને પનાહ આપેલી છે
આપણા દેશના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનના શહેર કરાચીમાં ઝેર અપાયાના સમાચારે જબરજસ્ત હલચલ મચાવી છે. વાતો તો ત્યાં સુધીની ચાલે છે કે, દાઉદ ઇબ્રાહિમને કરાચીની મુમતાઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની હાલત ગંભીર છે. કોઇ તો વળી એવું પણ કહે છે કે, દાઉદ મરી ગયો છે. હોસ્પિટલના એક માળ પર એકલા દાઉદને જ રખાયો છે. હોસ્પિટલ ફરતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા સમાચારોના કારણે સર્વર ડાઉન થઇ ગયું છે. દાઉદ ઇબ્રાહિમના વેવાઇ અને ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદને પણ એના ઘરમાં નજરકેદ કરી લેવાયા છે. શું સાચું અને શું ખોટું એ વિશે પાકિસ્તાનના સત્તાવાળાઓ મગનું નામ મરી પાડતા નથી. પાકિસ્તાન તો પહેલેથી એવું કહેતું આવ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમ અમારે ત્યાં નથી. આપણા દેશે પાકિસ્તાનની સરકારને આધાર, પુરાવા, સરનામા અને વિગતો સાથેનું ડોઝિયર આપીને કહ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમને તમે જ સંઘરી રાખ્યો છે. દાઉદને ઝેર અપાયું હોવાની વાત સાથે એ પણ ચર્ચા ચાલી છે કે, જો આ વાત સાચી હોય તો દાઉદને ઝેર આપ્યું કોણે? દુનિયાના કોઇપણ દેશમાં આજકાલ ભારતના કોઇ દુશ્મન ટેરરિસ્ટ કે માફિયાની હત્યા થાય છે ત્યારે ભારત તરફ આંગળી ચિંધવામાં આવે છે. કેનેડામાં ખાલિસ્તાની આંતકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડાની સરકાર ભારતને જવાબદાર ગણાવે છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આંતકવાદને વકરાવવાના પ્રયાસો કરનાર શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હત્યા કરવાના ષડયંત્રમાં પણ ભારતનું નામ ઉછાળવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા થોડા સમયમાં ભારતના ઘણા દુશ્મનો ભેદી રીતે માર્યા ગયા છે. આજે જ પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના આતંકવાદી અને મુંબઇ ટેરરિસ્ટ એટેકના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના નજીકના સાથીદાર હબીબુલ્લાહને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હોવાના સમાચારો બહાર આવ્યા છે.
દાઉદ ઇબ્રાહિમ 67 વર્ષનો છે. દાઉદ કીડનીની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે. દાઉદના મોતની અફવાઓ અગાઉ અનેકવાર ઉડી છે. દાઉદ ઇબ્રાહિમનું માફિયા નેટવર્ક આજની તારીખે મુંબઇમાં એક્ટિવ છે. પાકિસ્તાનમાં બેઠાં બેઠાં પણ દાઉદ મુંબઇમાં પોતાનું ધાર્યું કરતો હોવાની વાતો ચાલતી રહી છે. દાઉદનો જન્મ તારીખ 26મી ડિસેમ્બર, 1955ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ખેડમાં થયો હતો. દાઉદના જન્મ બાદ એનો પરિવાર મુંબઇ આવી ગયો હતો. દાઉદના પિતા ઇબ્રાહિમ કાસકર પોલીસ કોન્સટેબલ હતા. દાઉદ પહેલેથી ઊંધા ધંધા જ કરતો હતો. નાનો હતો ત્યારે જ દાઉદ હાજી મસ્તાનની ગેંગમાં જોડાયો હતો. ધીમે ધીમે એણે પોતાની ગેંગ બનાવી લીધી હતી. દાઉદ જ્યાં સુધી ગુનાખોરીની દુનિયામાં હતો ત્યાં સુધી તો તેના કારનામા ખૂબ ગાજતા હતા. ડ્રગ્સ અને સોનાની દાણચોરી, બિલ્ડરો તથા કલાકારો પાસેથી ખંડણી ઉઘરાવવા સહિતના કરતૂતોમાં દાઉદ અને તેની ગેંગની ધાક હતી. મુંબઇ પોલીસના કેટલાંક અધિકારીઓ પણ દાઉદના ઇશારે કામ કરતા હોવાની વાતો બહાર આવી હતી. પોલીસની મદદથી દાઉદ પોતાની હરીફ ગેંગના માથાઓને મરાવી નાખતો હતો.










